Gujarat

કર્ણાટકના ચાર ગઠિયાની જામીન અરજી નામંજૂર

By GS TEAM
17 Aug 20251 min read
કર્ણાટકના ચાર ગઠિયાની જામીન અરજી નામંજૂર

વડોદરા : જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવી નજર ચૂકવી રૃા.૨.૮૦ લાખની  કિંમતના દાગીનાની ચોરી કરી ગાયબ થઇ જવાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ આજે ચારે આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે તમામ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, ફતેપુરા વિસ્તારમાં આવેલા ખુશ્બુ જ્વેલર્સમાં એક શખ્સ ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો અને તેણે ચાંદીની ચેઇન તેમજ સોનાનું પેન્ડન્ટ જોવા માગ્યા હતા. દરમિયાનમાં અન્ય એક શખ્સ જ્વેલર્સમાં આવ્યો હતો અને તેણે પણ ચાંદીની ચેઇન જોઇ હતી અને એક ચેઇનની પસંદગી કરી હતી.આ શખ્સે રૃા.૫૦૦ આપી ચેઇન અમને પસંદ છે અમે લેડીઝને લઇને આવીએ છીએ તેમ કહેતા ફરિયાદી ખુશ્બુબહેને પૈસા પાછા આપ્યા હતા અને ત્યાર બાદ બન્ને શખ્સ જતા રહ્યાં હતા.

ત્યાર બાદ ફરિયાદીએ ટેબલના ખાનમાં જોતા સોનાની ૧૬ જુડી બુટ્ટીનું બોક્સ જોવા મળ્યું ન હતું. આમ, બન્ને શખ્સ ૨.૮૦ લાખના દાગીના લઇને રફ્ફુચક્કર થઇ જતા કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી આફ્રીદી શેરુબેગ, જાવેદઅલી મુસાઅલી, અલીબાગવાન બાગવા અને નવાબઅલી સૈયદ (તમામ રહે,કર્ણાટક)ની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીઓએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે તમામ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.