Get The App

ધ્રાંગધ્રાના ભરાડા ગામમાં રેતી ચોરી પર તંત્રનો દરોડો

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના ભરાડા ગામમાં રેતી ચોરી પર તંત્રનો દરોડો 1 - image

- ભૂમાફિયાઓ વાહનો મુકી નાસી છુટયા 

- ખાણ ખનિજ વિભાગે હિટાચી મશીન, રેતી સહિત રૂ. 40 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે નદીમાંથી ગેરકાયદે રેતી ચોરીના મોટા કારોબાર પર ખાણ ખનિજ વિભાગે દરોડો પાડયો છે. આ કાર્યવાહી દરમિયાન આશરે રૂ.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જોકે ખનિજ ચોરી કરતા માફિયાઓ નાસી છૂટયા હતા.

સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમે આ દરોડો પાડયો હતો. તંત્રની ટીમે નદીમાંથી રેતી કાઢવા માટે ઉપયોગમાં લેવાતા હુડકા, એક હિટાચી મશીન અને રેતીનો મોટો સ્ટોક જપ્ત કર્યો હતો. ભરાડા ગામની નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી હુડકા દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી હતી. આ ફરિયાદોના આધારે વિભાગે કાર્યવાહી કરી હતી.

જોકે, ઘણા વર્ષોેથી ગેરકાયદે રેતી ચોરીમાં ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા મૌન સેવતા અનેક સવાલો પણ ઉભા થયા છે. જિલ્લા કલેકટર દ્વારા અગાઉ ગેરકાયદે કાર્બોેસેલના ખનન બાબતે સરપંચોને નોટિસો આપી હતી તેમજ તલાટીની પણ બદલીઓ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા કલેકટરનો આ નિર્ણય ભરાડા ગામે ચાલતા ગેરકાયદે રેતી ચોરી મામલે લાગુ પડે છે કે કેમ ? તે તો જોવું જ રહ્યું ?

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. અહીં કોલસો, પથ્થર, સફેદ માટી અને રેતી સહિતના ખનિજોની દરરોજ લાખો ટન ચોરી થાય છે. સ્થાનિક તંત્ર દ્વારા માત્ર એકલ-દોકલ દરોડા પાડીને કાર્યવાહી દર્શાવવામાં આવે છે.