પ્લેન ક્રેશમાં આણંદના મૃતકોના મૃતદેહો અમદાવાદથી લાવવા તંત્રની કવાયત
- આણંદ કલેક્ટર કચેરીએ નોડલ અધિકારીની નિમણૂક
- જિલ્લા, તાલુકાના અધિકારીઓને દિવસમાં બે વખત મૃતકોના ઘરે મુલાકાત લેવા જણાવાયું
અમદાવાદ ખાતે બનેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ ૩૩ મૃતકો પૈકી ૩૨ મૃતકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લેવામાં આવ્યા છે. આ ડીએનએ નો રિપોર્ટ આવતા ૭૨ કલાક જેટલો સમય લાગે છે, આ ૩૨ પૈકી જે પરિવારજનોના ડીએનએ મેચ થશે તેઓને મૃતકનો મૃતદેહ આપવામાં આવશે. મૃતકોના મૃતદેહો માટે આણંદ જિલ્લાની ૧૯ જેટલી એમ્બ્યૂલન્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી છે. મૃતકોના ઘરે મૃતદેહ એમ્બ્યૂલન્સમાં લાવતી વખતે પોલીસ પાઈલોટિંગ ઘરે લાવી પરિવારજનોને સોંપાશે. કલેક્ટરની સૂચના મુજબ મૃતદેહોના અંતિમ સંસ્કાર સમયે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહેશે.
વિમાન દુર્ઘટનાના મૃતકોના પાથવ દેહને અમદાવાદથી આણંદ જિલ્લામાં તેમના વતનના ઘર સુધી લાવવા, અંતિમ સંસ્કાર સહિતની પ્રક્રિયા માટેની જરૂરી કાર્યવાહી માટેનું માર્ગદર્શન કલેકટર કચેરી આણંદ ખાતે આજે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટરે તાલુકાના પ્રાંત અધિકારીઓ સહીતના અન્ય ઉચ્ચ અધિકારીઓને આપ્યું હતું. જિલ્લાના અધિકારીઓ સાથે જરૂરી સંકલન કરી કામગીરી કરવા માટે કલેકટર કચેરી આણંદ ખાતે નોડલ અધિકારી તરીકે નાયબ કલેક્ટર મિતાબેન ડોડીયાની નિમણૂક કરાઈ છે. જિલ્લા અને તાલુકાના અધિકારીઓ દિવસમાં સવાર-સાંજ બે ટાઈમ સ્વજનોના ઘરે મુલાકાત લઈને તેમને કંઈ પણ મુશ્કેલી હોય તો સત્વરે જરૂરી કાર્યવાહી કરવા પણ અધિકારીઓને જણાવ્યું છે.
10 હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ
પ્લેન ક્રેશમાં આણંદ જિલ્લાના ૩૩ પૈકી ૩૨ મૃતકોના સ્વજનોના ડીએનએ સેમ્પલ લેવાઈ ગયા છે. ત્યારે ઘણા મૃતકોના પરિવારજનો વિદેશમાં વસવાટ કરતા હોવાથી તેઓ અંતિમ સંસ્કાર માટે વિદેશથી આણંદ આવે ત્યાં સુધી મૃતકના મૃતદેહને સાચવવા માટે જિલ્લામાં ૧૦ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.