Gujarat

કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ

By GS TEAM
14 May 20262 mins read
કાલે શનિવારે શનિજયંતીનો સુભગ સમન્વય : રવિવારથી પુરૂષોત્તમ માસ

સમગ્ર સૃષ્ટિના ન્યાયના દેવતા શનિદેવનું સૌરાષ્ટ્રમાં હાથલા પાસે જન્મસ્થાન : ભારતમાં પ્રાચીન કાળથી ચંદ્રવર્ષ  મૂજબ કાળગણના થાય છે અને આ વર્ષ 354 દિવસનું હોય છે. જેથી વર્ષને સમતોલ કરવા અધિક માસ આવતો હોય છે

રાજકોટ, : આગામી તા. 16-5- 2026ના જોગાનુજોગ શનિવારે શુભ સંયોગ સાથે શનિજયંતિની અર્થાત્ શનિ અમાવસ્યાની પરંપરાગત ઉજવણી કરાશે. આ દિવસે જેઠ વદ અમાસ શનિવારે સવારે 5-11 વાગ્યાથી મોડી રાત્રિના 1-30 વાગ્યા સુધીની છે અને આ દિવસે વટ સાવિત્રી વ્રતની પણ ઉજવણી કરાશે. ત્યારે રવિવાર તા. 17 મેથી તા. 15 જૂન સોમવાર સુધી ભગવાન વિષ્ણુની પૂજા, અર્ચના,કથા, કિર્તનના માસ એવા અધિક માસ અર્થાત્ પુરૂષોત્તમ માસની ઉજવણી થશે.

સૌરાષ્ટ્રમાં દેવભુમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના હાથલા ગામ પાસે શનિદેવનું જન્મસ્થળ હોવાની આસ્થા રહી છે તો મહારાષ્ટ્રમાં શનિ શીંગણાપુર શનિદેવનું પ્રાચીન પ્રસિધ્ધ સ્થળ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં શનિદેવના અસંખ્ય મંદિરો આવેલા છે જ્યાં શનિવારે ખાસ કરીને સાંજથી રાત્રિના સમયે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટશે. 

તા. 17થી પુરૂષોત્તમ માસમાં લગ્ન સહિતના પ્રસંગો સામાન્ય રીતે યોજાતા નથી હોતા. ઉલ્લેખનીય છે કે ગ્રેગોરિયન કેલેન્ડર કે જે આજે વિશ્વમાં પ્રચલિત છે તે સૂર્ય આધારિત છે જેમાં 365 દિવસે એક વર્ષ પૂરૂં થાય છે. ભારતમાં પ્રાચીન કાળથી ચંદ્રવર્ષ  મૂજબ કાળગણના થાય છે અને આ વર્ષ 354 દિવસનું હોય છે. જેથી વર્ષને સમતોલ કરવા અધિક માસ આવતો હોય છે. આ અન્વયે આ વર્ષે અષાઢ પછી આવતા જન્માષ્ટમી,નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારો પણ ગત વર્ષ કરતા મોડા આવશે.