- વાહનમાં મૂકેલો પાક બચાવવા મથામણ
- તા. ૩૦મીએ વરસાદી વતાવરણ નહીં હોય તો કામકાજ ફરી શરૂ કરાશે
તારાપુર : આણંદ જિલ્લામાં વરસાદના પગલે તારાપુર માર્કેટયાર્ડમાં બે દિવસ માટે હરાજી બંધ કરાઈ છે.
તારાપુર એપીએમસી ખાતે વેપારીઓ દ્વારા ગઈકાલે લાભપાંચમના શુભ મુહૂર્તમાં ડાંગરની ખરીદીની શુભ શરૂઆત કરાઈ હતી. ડાંગર ભરીને ૧૦૦ જેટલા ટ્રેક્ટરો યાર્ડમાં આવ્યા હતા. જ્યારે આજે વરસાદી વાતાવરણ વચ્ચે ફક્ત ૧૫ જેટલા વાહનો ડાંગર લઈ વેચાણ અર્થે પહોચ્યા હતા. ત્યારે તારાપુર માર્કેટયાર્ડમાં ડાંગર વેચાણ માટે આવેલા ખેડૂતો પ્લાસ્ટિક પરથી પાણી દૂર કરવા હાલ તો લાગી ગયા છે. કમોસમી વરસાદના કારણે તા. ૨૮ અને ૨૯મી બે સુધી તારાપુર માર્કેટયાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. તા. ૩૦મીને ગુરુવારના રોજથી વાતાવરણ વરસાદી નહીં હોય તો પરિસ્થિતિને ધ્યાનમાં લઇ હરાજીનું કામકાજ ફરી શરૂ કરાશે.


