પ્રેમ સંબંધની ના પાડતા છરી વડે વિધવા મહિલાની હત્યાનો પ્રયાસ
ગાંધીનગર નજીક આવેલા રાંધેજામાં
મહિલાએ સંબંધ કાપી નાખ્યો છતાં ગામનો યુવાન દબાણ કરતો હતો ઃ પેથાપુર પોલીસ દ્વારા તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં પ્રેમ સંબંધ રાખવાની ના પાડનાર વિધવા મહિલા ઉપર ગામના યુવાન દ્વારા છરી ઝીંકીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ પેથાપુર પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
નજીક રાંધેજા ગામમાં રહેતી મહિલાના પતિનું અવસાન પાંચ વર્ષ અગાઉ થયું હતું અને
તેના બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટે ગામના જ યુવાન રોહિત રાવળની રીક્ષા
બાંધવામાં આવી હતી અને રિક્ષામાં મહિલા પણ બાળકો સાથે આવતી જતી હતી તે દરમિયાન
બંને વચ્ચે પ્રેમ થયો હતો અને મોબાઈલ નંબરની આપ લે પણ થઈ હતી. જો કે રોહિત
અવારનવાર મહિલા સાથે તકરાર કરતો હોવાથી છેલ્લા ચાર મહિનાથી તેણે સંબંધ કાપી નાખ્યો
હતો અને તેની સાથે કોઈ પ્રકારની વાતચીત કરતી ન હતી. આ દરમિયાન ગઈકાલે સાંજના સમયે
આ મહિલા નોકરી ઉપરથી છૂટી ત્યારે આ રોહિત રાવળ રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને
ફરીથી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જો કે મહિલાએ તેની સાથે સંબંધ
રાખવાનો ઇનકાર કરતા ધમકી આપીને જતો રહ્યો હતો. જેથી મહિલા આ યુવાનના ઘરે પહોંચી
હતી અને તેની માતાની હાજરીમાં યુવાનને કહ્યું હતું કે તે શું કામ તેને હેરાન કરી
રહ્યો છે. જેના પગલે રોહિતે કહ્યું હતું કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને
શાંતિથી જીવવા નહીં દઉં તેમ કહીને ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં જઈને પેન્ટના ખિસ્સામાંથી
છરી કાઢીને મહિલાના પેટમાં હુલાવી દીધી હતી. જેના પગલે થઈ બૂમાબૂમ થઈ ગઈ હતી અને
આસપાસના લોકો દોડી આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહિલાને સારવાર માટે ગાંધીનગર
સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની ફરિયાદના આધારે પેથાપુર પોલીસ
દ્વારા આ યુવાન રોહિત રાવળ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ
કરવામાં આવી છે.