ધો-10માં નાપાસ થતા પાંડેસરામાં વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ

- માનસિક તણાવમાં પ્રેશરની વધુ પડતી ટેબ્લેટ ગળી જતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ
સુરત :
સુરત સહિતના વિસ્તારમાં દર વર્ષે ૧૦માં ધોરણમાં નાપાસ થવાના લીધે તેમજ નાપાસ થવાને ડરના કોઇક વિધાર્થીઓ આપઘાત કે આત્મહત્યાનો પ્રયાસ કરતા હોય છે. તેવા સમયે ભેસ્તાનમાં વિધાથનીએ ધો. ૧૦માં નાપાસ થવાથી ટેન્શનમાં આવીને પ્રેશરની વધુ પડતી ટેબ્લેટ ખાઈને આપઘાત કરવાની કોશિશ કરતા સારવાર માટે નવી સિવિલમા ખસેડાય છે.
સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરામાં ભેસ્તાન ખાતે પ્રિયંકાગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતી ૧૫ વર્ષીય હંસા અજય પવારે શુક્રવારે સાંજે ઘરમાં પ્રેશરની વધુ પડતી ટેબ્લેટ ગળી જતા ઉલ્ટીઓ થવા લાગી હતી. જેથી પરિવારજનો ગભરાઇ ગયા હતા અને તેને તરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. હંસાના સંબંધીએ જણાવ્યું હતું કે હંસા ભેસ્તાનની શાળામાં ધો.૧૦મા અભ્યાસ કરે છે. જોકે હાલમાં આવેલા પરીક્ષાના પરિણામમાં તે ત્રણ વિષયોમાં નાપસ થઇ હતી. જેને કારણે તે માનસિક તાણ અનુભવતી હોવાથી આ પગલું ભર્યુ હતું. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ભેસ્તાન વિસ્તારમાં જ રહેતી નૂપુર નામની વિધાથનીએ નાપાસ થવાના ડરે રિઝલ્ટ આવવાના એક દિવસ પહેલા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.જોકે રિઝલ્ટ આવતા તે પાસ હતી.

