Gujarat

બાવળા-બગોદરા હાઇવે પર ટેમ્પો પલટી જતાં બગોદરા પો.સે.ના એએસઆઇનું મોત

By GS TEAM
12 Oct 20252 mins read
બાવળા-બગોદરા હાઇવે પર ટેમ્પો પલટી જતાં બગોદરા પો.સે.ના એએસઆઇનું મોત

બંદોબસ્તમાંથી પરત આવતી વખતે દુર્ઘટના ઘટી

વતન ધંધુકાના હડાળા ગામમાં 'ગાર્ડ આફ ઓનર' સાથે અંતિમ સંસ્કાર કરયા ઃ પોલીસ કર્મીને નિવૃત્ત થવામાં ૮૦ દિવસ જ બાકી હતા

બગોદરા -  બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઇ) ગંભીરસિંહ દાનુભા સોલંકીનું ચાલુ ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

પોલીસ કર્મી ગંભીરસિંહ સોલંકી અમદાવાદ રાજ્યપાલના બંદોબસ્તમાં ગયા બાદ પરત બગોદરા આવી રહ્યા હતા. તેઓ જે ટેમ્પોમાં સવાર હતા, તે ટેમ્પો ભાયલા ગામના પુલના છેડે અચાનક પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલક અને પોલીસ કર્મી ગંભીરસિંહ સોલંકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે બાવળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પોલીસ કર્મી ગંભીરસિંહ સોલંકીનું કરુણ મોત નીપજ્યું હતું. દુઃખદ બાબત એ છે કે, ફરજ દરમિયાન મોતને ભેટેલા આ પોલીસ કર્મીને નિવૃત્ત થવામાં માત્ર ૮૦ દિવસ જ બાકી હતા.

શહીદ પોલીસ કર્મીના પાથવ દેહને તેમના વતન ધંધુકા તાલુકાના હડાળા ગામે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમને 'ગાર્ડ આફ ઓનર' સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ શોકપૂર્ણ પ્રસંગે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ઓમ પ્રકાશ જાટ , નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ (ધોળકા વિભાગ), બગોદરા પીઆઇ યુ. બી. જોગરાણા, તેમજ બગોદરા અને ધંધુકા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને શહીદ પોલીસ કર્મીને અંતિમ વિદાય આપી હતી.