Junagadh News: જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયરની હત્યાના કેસમાં જામીન પર છૂટી છ વર્ષથી ફરાર અશ્વિન કાઠીને સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે રાજસ્થાનના બિકાનેરમાંથી સાધુ જેવા વેશમાં પકડી લીધો હતો. તેનો કબ્જો લેવા જૂનાગઢ પોલીસની ટીમ રવાના થઈ હતી.
જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા અશ્વિન વલકુ સબાડ (કાઠી)એ 2010ના વર્ષમાં ડ્રગ્સ તથા હથિયારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પૂર્વ ડેપ્યુટી મેયર કરમણ કટારે પોલીસને માહિતી આપ્યાની અદાવત રાખી તે ના ફાયરીંગ કરી હત્યા નિપજાવી હોવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં 29 ફેબ્રુઆરી 2010ના અશ્વિન કાઠીની ધરપકડ કરવામાં આવી હતી. તે કાચા કામના કેદી તરીકે જૂનાગઢ જેલમાં હતો. 18 ઓક્ટોબર 2019ના તેને હાઈકોર્ટના હુકમથી વચગાળાના જામીન મળ્યા હતા ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.
આ શખ્સ વાળ-દાઢી વધારી સાધુ જેવા વેશ તથા સરદારજીની પાઘડી ધારણ કરી અલગ-અલગ રાજ્યોમાં ફરતો હોવાની અને હાલ રાજસ્થાનના બિકાનેરમાં હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફને મળી હતી. તેના આધારે એસએમસીના સ્ટાફે બિકાનેરમાં તપાસ કરી અશ્વિન કાઠીને સાધુ જેવા વેશમાં પકડી લઈ ગાંધીનગર લઈ આવ્યો હતો.


