અષાઢી બીજે રથયાત્રા : નવા કલેવર સાથે ભગવાન નગરચર્યાએ નિકળશે
- ભાવેણું જગન્નાથમયઃ આ વખતે 40 મી રથયાત્રામાં મિની કુંભ જેવો માહોલ સર્જાશે
- સુભાષનગર નિજ મંદિરથી સવારના 8 કલાકે પ્રસ્થાનઃ શ્રદ્ધાળુંઓને ભગવાનના દર્શન માટે પ્રતિક્ષા ન કરવી પડે તે માટે સતત બીજા વર્ષે ટ્રકોની સંખ્યા ઘટાડીને 80 કરાઈ
સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને ભગવાનશ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટના કાર્યકારી અધ્યક્ષ પાર્થ ગોંડલિયાની અધ્યક્ષતામાં આ વર્ષે પ્રથમ વખત રથયાત્રા નિકળશે.તેમણે જણાવ્યું કે,આગામી તા.૨૭ને શુક્રવારે અષાઢી બીજે શહેરના રાજમાર્ગો પર સતત ૪૦માં વર્ષે ભગવાનશ્રી જગન્નાથજી,ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી રથમાં સવાર થઈ નગરચર્યાએ નિકળશે.સવારે ૮ કલાકે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર નિજ મંદિરે સંતો-મહંતો,રાજકીય-સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીના વરદ હસ્તે છેડાપોરા અને પહિન્દ વિધિ બાદ રથયાત્રાનું પરંપરાગત પ્રસ્થાન થશે. યાત્રાને સફળ બનાવવા ત્રણ માસ પૂર્વે આરંભી દેવાયેલી તૈયારીઓનું માઈક્રોપ્લાનિંગ કરાયું છે.જયારે,સતત વખતે બીજા વર્ષે શ્રદ્ધાળુંઓને ભગવાનના દર્શન માટે પ્રતિક્ષા ન કરવી પડે તે માટે રથ પૂર્વે નિકળતાં ટ્રકોની સંખ્યા ૧૦૦થી ઘટાડી ૮૦ કરવામાં આવી છે. આ વર્ષે પણ વિવિધ થીમ-ફ્લોટ્સ સાથેના ટ્રકો ઉપરાંત સુશોભિત ટ્રેક્ટર, જીપ, છકરડા, મિની ટ્રેન, વાંદરો, હાથી, નાસિક ઢોલ, તોપ, અખાડાના કરતબો રથયાત્રાનું આકર્ષણ વધારશે. સાથોસાથ રથયાત્રામાં ત્રણ ટનથી વધુ ચણાની પ્રસાદી વિતરિત કરાશે. તેમ ઉમેરતાં તેમણે કહ્યું કે, શહેરમાં ૧૪ કલાક દરમિયાન નિજ મંદિરથી નિજ મંદિર સુધીના યાત્રાના ૧૭.૫ કિમી લાંબો રૂટ ધજા-પતાકા સહિત કેસરિયા રંગે રંગાયો છે. ઠેર-ઠેર વિશાળ કદના ભગવાન, મહાપુરૂષોના કટઆઉટ્સ-હોર્ડિંગ્સ ઉભા કરાયા છે.માજી સૈનિકો દ્વારા પ્રસ્થાન સમયે અને ઘોઘાગેટ, ગંગાદેરી ખાતે ભગવાનને બ્યૂગલથી સલામી આપી સ્વાગત કરવામાં આવશે. જયારે, રાત્રે ૧૦ કલાકે નિજ મંદિરે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા સાથે રથયાત્રાનું સમાપન થશે.
ઘેર બેઠા ઓનલાઈન દર્શન પણ થશે
રથયાત્રા સમિતિએ આ વર્ષે પણ શ્રદ્ધાળુંઓ ઘેરબેઠા ભગવાનના દર્શન કરી શકે તે માટે ડિજિટલ માધ્યમથી ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરી છે. યાત્રાના દિવસે શ્રદ્ધાળુંઓ રથયાત્રા સમિતિના ફેસબુક પેઈઝ શ્રી જગન્નાથજી રથયાત્રા-ભાવનગર તથા તેની ઓફિશિયલ વેબસાઈટ રથયાત્રાભાવનગર.ઈન પર નિહાળી શકશે.
સતત બીજા વર્ષે ઇસ્કોન મંદિરેથી રથયાત્રા નિકળશે
શહેરના સિદસર રોડ, લીલા સર્કલ સ્થિત હરેકૃષ્ણ ધામ મંદિર સિદસર રોડ પરથી આગામી તા. અષાઠી બીજના દિવસે સતત બીજા વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશે. સવારે ૮ થી ૯ દરમિયાન મંદિર પરિસરમાં પહાડી ઉત્સવ ઉજવાશે અને ૯ કલાકે રથયાત્રાનું સંતો-મહંતો યાત્રાનું પ્રસ્થાન કરાવશે. જેમાં પ્રસાદ સહિત કિર્તન મંડળો જોડાશે, યાત્રા ઇસ્કોન મંદિરથી હીલપાર્ક ચોકડી, જ્ઞાનમંજરી સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, ભગવતી સર્કલ, વીરાણી સર્કલ થઇ લીલા સર્કલ મળી અંદાજે પાંચ કિમી રૂટના માર્ગો પર ફરી ઇસ્કોન મંદિરે પૂર્ણ થશે.
આજે નેત્રોત્સવ વિધિ : સંતો, ટ્રસ્ટીઓ હાજર રહેશે
દર વર્ષની પરંપરા અનુંસાર આ વર્ષે પણ સુભાષનગર નિજ મંદિરે આવતીકાલ બુધવારે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાશે. એટલે કે ત્રણેય ભાઈ બહેનને આંખે પાટા બાંધવામાં આવશે. જે અષાઢી બીજે યાત્રા આગમન પૂર્વે મંગળા આરતી સમયે ખોલવામાં આવશે. પરંપરા અનુસાર, મોસાળમાંથી ઘરે આવેલાં ત્રણેય ભાઈ બહેનને આંખ આવતાં ત્રણેયને પાટા બાંધવામાં આવે છે. આ વિધિમાં પણ સમિતિની ટ્રસ્ટીઓ ઉપરાંત, સંતો-મહંતો હાજરી આપશે.
5 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત
અષાઢી બીજે નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ૪૦મી રથયાત્રામાં ભાવનગર જિલ્લા પોલીસ વડાના નેતૃત્વમાં પાંચ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપી સહિતની ફોર્સ જોડાશે.
કર્મચારી સંખ્યા |
આઈપીએસ ૦૧ |
એએસપી, |
ડીવાયએસપી ૧૪ |
પીઆઈ ૪૪ |
પીએસઆઈ ૧૧૨ |
પોલીસ
કોન્સ. ૧૯૧૦ |
હોમગાર્ડ ૧૫૧૫ |
એસઆરપી 5 કંપની |
સીઆઈએસએફ ૧ કંપની |
બીડીડીએસ ૩ ટીમ |
માઉન્ટેડ
પોલીસ ૩૦ |
ડ્રોન
કેમેરા ૦૪ |
સીસીટીવી ૧૬૨ |
બોડીવોર્મ
કેમેરા ૨૪ |