Updated: Mar 30th, 2022
- વૈજ્ઞાનિકોએ ગરમી દરમિયાન લોકોને રૂમમાં જે વાતાવરણમાં આરામનો અનુભવ થાય તે અંગે અભ્યાસ કર્યો હતો
અમદાવાદ,તા.30 માર્ચ 2022,બુધવાર
ઉનાળાના બળબળતા તાપમાં ઘરમાં ઠંડક મેળવવા માટે માત્ર એસીની (AC) હવા જ પૂરતી નથી. વધુ ઠંડક મેળવવા માટે એસીની સાથે પંખો પણ ચાલુ રાખવાથી વધારે ફાયદો થશે.
વૈજ્ઞાનિકોએ તાપમાનના કમ્ફર્ટ લેવલની અનુકૂલનશીલતા અંગે એટલે કે, ગરમી દરમિયાન લોકોને રૂમમાં જે વાતાવરણમાં આરામનો અનુભવ થાય તે અંગે અભ્યાસ કર્યો હતો.
કુલ 5 ક્લાઈમેટ ઝોન્સનું પ્રતિનિધિત્વ કરતા અમદાવાદ, ચેન્નાઈ, બેંગલુરૂ, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને શિમલા સહિતના 8 શહેરોના 2,179 લોકોએ પોતાની મરજીથી જ આ અભ્યાસમાં ભાગ લીધો હતો.
અમદાવાદી લોકોનું થર્મલ કંફર્ટ લેવલ એટલે કે, ઘરે જે તાપમાનમાં તેમને આરામદાયકતાનો અનુભવ થાય તે એસી ચાલુ હોય અને પંખો 0.5 m/s પર ફરતો હોય ત્યારે 20°Cથી 32°C જેટલું નોંધાયું હતું.
સેન્ટર ફોર એડવાન્સ રિસર્ચ ઈન બિલ્ડિંગ સાયન્સ એન્ડ એનર્જી (CARBSE), સેપ્ટ યુનિવર્સિટી તથા જર્મની, સિડની, ઓસ્ટ્રેલિયા વગેરેના 7 અન્ય નિષ્ણાંતો દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
CARBSEના વરિષ્ઠ એડવાઈઝર અને સેપ્ટ ખાતે પ્રોફેસર એવા રાજન રાવલના કહેવા પ્રમાણે ગરમી દરમિયાન પંખાની સ્પીડ વધારવાથી એસીની હવા રૂમમાં ઝડપથી સરખા પ્રમાણમાં ફેલાય છે અને એસી દ્વારા ઉર્જાનો જે વપરાશ થતો હોય તેમાં પણ ઘટાડો થાય છે.