Get The App

અરવિંદ કેજરીવાલ 23-24 જુલાઈએ ગુજરાતના પ્રવાસે, ખેડૂત-પશુપાલક મહાપંચાયત યોજશે

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
અરવિંદ કેજરીવાલ 23-24 જુલાઈએ ગુજરાતના પ્રવાસે, ખેડૂત-પશુપાલક મહાપંચાયત યોજશે 1 - image

Arvind Kejriwal Gujarat Visit: સાબર ડેરી વિરુદ્ધ પોતાના હક માટે લડી રહેલા પશુપાલકો પર થયેલા અત્યાચાર અને અન્યાયના કિસ્સાઓ સાંભળીને આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે AAP હવે સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહી છે, અને આગામી 23 જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં 'ખેડૂત પશુપાલક મહાપંચાયત'નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ઉલ્લેખનીય છે કે એક તરફ આપ દ્વારા અરવિંદ કેજરીવાલના પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી તો બીજી તરફ સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે. જેમાં પશુપાલકોને 995 રૂપિયા કિલો ફેટ પેટે ચુકવાશે.

કેજરીવાલનો ગુજરાત પ્રવાસ અને કાર્યક્રમ

મળતી માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલ 23 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાબર ડેરીના અત્યાચારનો ભોગ બનેલા પશુપાલકો સાથે મુલાકાત કરશે અને તેમની વેદના સાંભળશે. ત્યારબાદ 24 જુલાઇએ તે દેડિયાપાડા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવાર સાથે પણ મુલાકાત કરશે અને સભાને સંબોધશે. 

આ પણ વાંચો: અમરેલીના ભૂમિકા આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો: ટાસ્ક-બેઝ્ડ ફ્રોડનો ભોગ બની!

શું છે માંગણીઓ

23મી તારીખે મોડાસામાં યોજાનારી આ ખેડૂત-પશુપાલક મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવશે. AAP દ્વારા આ મામલે કેટલીક મુખ્ય માંગણીઓ પણ કરવામાં આવી છે:

(1) પશુપાલકો પર કરવામાં આવેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.

(2) સાબર ડેરી વિવાદમાં જે પશુપાલકોના મોત થયા છે, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.

(3) મૃતકોના મામલે હત્યાની ફરિયાદ નોંધીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

(4) મૃતકના પરિવારને સરકાર અને સાબર ડેરી દ્વારા 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હક માટે અંતિમ શ્વાસ સુધી લડશે. અરવિંદ કેજરીવાલના આ ગુજરાત પ્રવાસ અને મહાપંચાયતને કારણે સાબર ડેરી વિવાદ વધુ ગરમાશે તેવું મનાઈ રહ્યું છે.