Gujarat

પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા

By GS TEAM
18 May 20261 min read
પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા

પરંપરા સાથે અદભૂત વિજ્ઞાાન  : પુરૂષોત્તમ માસઃ આસ્થા સાથે જોડાયેલું વૈજ્ઞાાનિક અને ખગોળીય ગણિત

 જામનગર, : ભારતીય સંસ્કૃતિમાં પુરૂષોત્તમ માસને વિશેષ ધામક મહત્વ આપવામાં આવે છે. પરંતુ આ મહિનાની પાછળ માત્ર આસ્થા જ નહીં, પરંતુ ઊંડું વૈજ્ઞાાનિક અને ખગોળીય ગણિત પણ જોડાયેલું છે. આપણા પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા રચવામાં આવી છે.

ભારતીય પંચાંગ સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિના આધારે બનાવવામાં આવે છે. સૂર્ય આધારિત વર્ષમાં આશરે 365 દિવસ અને ૬ કલાક હોય છે, જ્યારે ચંદ્રની કળાઓ પર આધારિત વર્ષ આશરે 354 દિવસનું બને છે. આ રીતે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત સર્જાય છે. જયારે આ તફાવત સતત વધતો જાય અને લગભગ ત્રણ વર્ષમાં ૩૩ દિવસ જેટલો થઈ જાય, ત્યારે તે એક વધારાના મહિનાના બરાબર થાય છે. તુઓ અને તહેવારોનું સંતુલન જળવાઈ રહે - જેમ કે દિવાળી હંમેશા શિયાળાની શરૂઆતમાં જ આવે - તે માટે દર ત્રણ વર્ષે આ વધારાનો મહિનો પંચાંગમાં ઉમેરવામાં આવે છે. આ મહિનાને અધિક માસ કહેવાય છે. કથાઓ મુજબ ભગવાન વિષ્ણુએ આ મહિનાને પોતાનું સર્વોચ્ચ નામ પુરૂષોત્તમ આપ્યું, ત્યારથી આ મહિનો પુરૂષોત્તમ માસ તરીકે પ્રસિદ્ધ થયો. આ મહિનામાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી, પરંતુ ભક્તિ, વ્રત, ઉપવાસ, દાન અને ભગવાનના સ્મરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે.