રજા પર આવેલા આર્મી જવાનનાં મોતથી ગમગીની : 2 વ્યક્તિને ડૂબતા બચાવ્યા પણ પોતે ઊંડાં પાણીમાંથી ન નીકળી શક્યા : ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ
જૂનાગઢ, : ફરજ પરથી રજા પર વતનમાં આવેલા વંથલી તાલુકાના ટીકરના વતની આર્મી જવાન તેમના મિત્રો અને સબંધીઓ સાથે નદીએ નહાવા ગયા ત્યારે બે યુવકોને ડૂબતા જોઈને તેમણે તે બંનેને તો બચાવી લીધા હતા પરંતુ જવાન પોતે ઉંડા પાણીમાં ગરક થઈ જતા જીવ ગુમાવ્યો હતો. અન્યોને ઉગારવા તેમણે પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી હતી. આ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી હતી. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.
આ અંગેની વધુ વિગત મુજબ મૂળ વંથલી તાલુકાના ટીકર ગામના અને હાલ જૂનાગઢના મધુરમમાં આવેલા સુદામાપાર્કમાં રહેતા તેમજ ભારતીય સેનામાં ફરજ બજાવતા ભરતભાઇ લખમણભાઈ ભેટારીયા (ઉ.વ. 33) હાલ રજા પર આવ્યા હતા. વતન ટીકરમાં હતા ત્યારે તા. 23ના ભાઈબીજના દિવસે ભાઈ પીયૂષભાઈ, ફઈના દીકરા જીજ્ઞોશભાઈ ડેર, ભૌતિકભાઈ ભેટારીયા,મહેશભાઈ ભેટારીયા ઓઝત નદીમાં ન્હાવા ગયા હતા. ન્હાતી વખતે મહેશભાઈ મનસુખભાઈ ભેટારીયા અને ભૌતિક અરજણભાઈ ભેટારીયા નદીમાં ડૂબવા લાગતા આર્મી જવાન ભરતભાઇ અને જીજ્ઞોશભાઈ બચાવવા ગયા હતા. ભરતભાઈએ ડૂબતા બંને વ્યક્તિને બચાવી લીધા હતા પરંતુ ભરતભાઇ પોતે ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતા અને તેનું ડૂબી જવાથી મોત થયુ હતું.
આમ, 2 વ્યક્તિને બચાવવામાં આર્મીના જવાને પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી હતી. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. ગઇકાલે આર્મીના જવાનોએ આવીને સેનાના જવાન ભરતભાઇ ભેટારીયાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ત્યારબાદ અંતિમવિધિ થઈ હતી. અંતિમયાત્રામાં આસપાસના ગામના લોકો ઉપરાંત કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો જોડાયા હતા.


