વડિયાના મૂળ વતની અર્જુનભાઈ પણ અસરગ્રસ્ત ફ્લાઈટમાં બેઠા હતા
દુર્ઘટના બાદ ચાલતી શોધ, પરિવારજનો શોકમગ્ન
પત્નીનું લંડનમાં અવસાન થતાં વતનમાં મરણોત્તર વિધિ પૂર્ણ કરી પરત લંડન ફરી રહ્યા હતા
અમરેલી: અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના બાદ અમરેલીના વડીયા વિસ્તારમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. અહીંના અર્જુનભાઈ મનુભાઈ પટોળિયા પણ આ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ તેમની શોધખોળ જારી રહી હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક વિગતો મુજબ, અર્જુનભાઈ તાજેતરમાં જ લંડનથી વતન વડિયા આવ્યા હતા. તેમના પત્નીનું લંડનમાં અવસાન થતાં, તેઓ વતનમાં સગા-સંબંધીઓને ત્યાં કેટલીક વિધિઓ અને ફૂલ પધરાવવા માટે આવ્યા હતા. વતનમાં બેસણું અને અન્ય વિધિઓ પૂર્ણ કર્યા બાદ તેઓ આજે પરત લંડન જવા રવાના થયા હતા, ત્યારે રસ્તામાં વિમાન તુટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.
અર્જુનભાઈના પરિવારમાં બે બાળકો છે, જેઓ હાલ લંડનમાં છે. તેઓ બાળકોને લંડન મૂકીને જ વતન આવ્યા હતા. અર્જુનભાઈને પિતા નથી, જ્યારે તેમની માતા સુરત ખાતે રહે છે. પ્લેનમાં મુસાફરી કરતા અર્જુનભાઈ જીવિત છે કે કેમ ? તે અંગે હજુ સુધી આધારભુત માહિતી પ્રાપ્ત થઈ શકેલ નથી. પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.