Gujarat

મંદિરના ઓટલા પર બેસીને મોબાઇલ પર વાત કરવાના મુદ્દે ઝઘડો

By GS TEAM
16 Mar 20261 min read
મંદિરના ઓટલા પર બેસીને મોબાઇલ પર વાત કરવાના મુદ્દે ઝઘડો

વડોદરા,મંદિરના ઓટલા પર બેસીને મોટેથી વાતો કરતા યુવકને ત્યાંથી ઊભા થઇને જતા રહેવાનું કહેતા માંજલપુર ગામમાં મારામારી થઇ હતી. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.

માંજલપુર ગામ રણછોડજીની પોળમાં રહેતા દિપીકાબેન જેસીંગભાઇ વાઘેલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ઘરની સામે આવેલા મંદિરના ઓટલા પર બેઠેલા અમારા મકાનના ભાડૂત સન્નીને  અમારા ફળિયામાં રહેતા અશોક જશુભાઇ સોલંકીએ આવીને અમારા ભાડૂતને ઊભા થઇને ઘરે જતા રહેવાનું કહ્યું હતું. જેથી, મેં  તેને રોકતા અશોકના પિતા જશુભાઇએ આવીને ગાળો બોલી ઇંટનો ટૂકડો મારતા ૧૪ વર્ષની કિશોરીને ઇજા થઇ હતી.

જ્યારે સામા  પક્ષે અશોક સોલંકીએ  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે અમે ંમંદિરમાં બેઠા હતા. તે દરમિયાન દિપીકાબેનના મકાનમાં ભાડૂત તરીકે રહેતો સન્ની ઓટલા પર બેસીને મોબાઇલ પર જોરજોરથી વાતો કરતો હતો. જેથી, મે તેને ઓટલા પરથી ઊભા થઇ જવાનું કહેતા દિપીકાબેને ઝઘડો કરી મારા પિતાને ધક્કો મારતા તેઓ પડી જતા કપાળમાં ઇજા થઇ હતી.