આણંદ જિલ્લામાં ભાજપના મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રીઓની નિમણૂક બે મહિનાથી ટલ્લે
- આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છતાં
- જિલ્લાની 20 મંડલ સમિતિઓમાં હજૂ કારોબારીની નિમણૂકના ઠેકાણા નથી : જૂના કાર્યકરોને સ્થાન નહીં મળતા નારાજગી
આણંદ જિલ્લા ભાજપના નવા સંગઠન પ્રમુખની નિમણૂક બાદ જિલ્લા ભાજપમાં બે મહામંત્રી તેમજ ૧૩ હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક થવાને બદલે બે મહિના સુધી પણ હજુ જુના ભાજપના હોદ્દેદારોથી કામ ચલાવાઈ રહ્યું છે.
જેને કારણે નવા સંગઠનમાં સ્થાન મેળવવા ઈચ્છુક ભાજપના જૂના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.
૨૦ મંડળ સમિતિમાં પ્રમુખ મહામંત્રીની જાહેરાત બાદ હજૂ કારોબારી સભ્યો પણ નિમવાના ઠેકાણા નથી.
સંગઠનના નામે જૂના હોદ્દેદારો હજુ પણ કાર્યકરોમાં એકબીજાને ઝઘડાવીને પોતાનો એક્કો ખરો કરવાની કોશિશ કરતા હોવાથી જૂના કાર્યકરો નારાજ છે.
આણંદ જિલ્લામાં નવા સંગઠનમાં જૂના અને વફાદાર કાર્યકરોની બાદબાકીના કારણે પક્ષના જાહેર કાર્યક્રમોમાં પણ કાર્યકરોની ઓછી હાજરી જોવા મળી રહી છે.
આગામી સમયમાં સરપંચ, તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે.
ત્યારે સંગઠનમાં ફેરબદલાવ ન આવતા હવે જુના કાર્યકરો અને હાલના સંગઠનના હોદ્દેદારો સામે જૂથબંધીનો મોરચો થવા માંડયો છે.
હજૂ પ્રદેશમાંથી સંગઠનની નિમણૂકની સૂચના આવી નથી : જિલ્લા ભાજપ પ્રમુખ
આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા સંગઠનના મહામંત્રી તેમજ કારોબારીની રચના અંગે પ્રદેશમાંથી હજુ સૂચના આવી નથી. સૂચના આવ્યા બાદ તુરંત જ સંગઠનના બાકી રહેલા પદ ઉપર નિમણૂકની કામગીરી ઝડપથી કરવામાં આવશે.