Get The App

સોરઠમાં અનરાધાર 4 ઈંચ સુધીનાં વરસાદ સિવાય સૌરાષ્ટ્રમાં મેઘવિરામ

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
સોરઠમાં અનરાધાર 4 ઈંચ સુધીનાં વરસાદ સિવાય સૌરાષ્ટ્રમાં મેઘવિરામ 1 - image


સૌથી વધુ વેરાવળ-સુત્રાપાડામાં 3-4 ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો : સૌરાષ્ટ્રમાં આજથી થોડી રાહત સાથે છૂટા-છવાયા વરસાદનું 'યલો એલર્ટ' જાહેર : ચોમાસાનાં આરંભે જ વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ આજથી વરાપ નીકળે તો ખેડૂતો ખરીફ પાકની વાવણીમાં જોતરાઈ જશે 

રાજકોટ, : આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અનરાધાર ચાર ઈંચ સુધીનાં વરસાદ સિવાય સૌરાષ્ટ્રમાં મેઘવિરામ રહ્યો હતો. સૌથી વધુ વેરાવળ-સુત્રાપાડામાં 3-4 ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ચોમાસાનાં આરંભ સાથે જ વાવણીલાયક શ્રીકાર મેઘમહેર વરસી હોવાથી ખેડૂતો ખુશ થઈ ગયા છે. વળી, સૌરાષ્ટ્રમાં આજે સોરઠ સિવાયના જિલ્લાઓમાં ક્યાંક-ક્યાંક હળવા ઝાપટા જ વરસ્યા હતા અને આજથી થોડી રાહત સાથે છૂટા-છવાયા વરસાદનું 'યલો એલર્ટ' જાહેર થતાં થોડી રાહત પણ અનુભાવાઈ છે. હવે આવતીકાલે ગુરૂવારથી વરાપ નીકળે તો ખેડૂતો વાવણીકાર્યમાં જોતરાઈ જશે.

સૌરાષ્ટ્રમાં ચોમાસાનું વિધિવત આગમન થયાનાં બે દિવસમાં ધૂંઆધાર વરસાદે કાળઝાળ ગરમીમાં રાહત આપવા સાથે ખાસ કરીને ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં અનેક જળાશયો પણ છલકાવી દીધા અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક મેઘકૃપા પણ વરસાવી દીધી છે. એક તબક્કે તો ગઈકાલે ગાંધીનગરથી એનડીઆરએફની રેસ્ક્યૂ ટીમો પણ મોકલી દેવામાં આવી હતી. પરંતુ આજે ત્રીજા દિવસે આકાશ ગોરંભાયેલું રહ્યું હતું, પણ વરસાદનું જોર નહીવત બની જતાં થોડો હાશકારો અનુભવાયો હતો. વળી, આ વખતે ચોમાસું ભરપૂર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.

જો કે, આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનો મુકામ રહ્યો હતો. વહેલી સવારથી સાંજ સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં 3-4 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં વેરાવળમાં 82 મી.મી. અને સુત્રાપાડામાં 75 મી.મી. વરસાદ નોંધાયો હતો. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આજે કોડીનાર અને ગીરગઢડામાં અઢી ઈંચ તથા ઉના અને તાલાલામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. એ જ રીતે આજે જૂનાગઢ જિલ્લામાં હળવા-ભારે ઝાપટા વચ્ચે કેશોદમાં દોઢ ઈંચ તથા માંગરોળ અને માળિયા હાટીનામાં એક ઈંચ, મેંદરડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રમાં અન્યત્ર જોઈએ તો, રાજકોટ, અમરેલી, પોરબંદર જિલ્લાનાં 12 તાલુકા મથકોએ રસ્તા પલાળતા ઝાંપટા પડયા હતા. જ્યારે જામનગર, મોરબી, દ્વારકા જિલ્લામાં આજે ક્યાંક જ ફક્ત છાંટાથી સંતોષ માનવો પડયો હતો. હવે હવામાન વિભાગ દ્વારા તા. 24મી સુધી એટલે કે, આગામી 6 દિવસ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ જિલ્લામાં 'યલો એલર્ટ' સાથે છૂટો-છવાયો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

Tags :