Get The App

ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી સામે વધુ એક ફરિયાદ, 14 ખાતા ખોલી વિવિધ રાજ્યોના લોકો સાથે કરોડોની છેતરપિંડીનો આરોપ

Updated: May 15th, 2025

GS TEAM

Google News
Google News
ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી સામે વધુ એક ફરિયાદ, 14 ખાતા ખોલી વિવિધ રાજ્યોના લોકો સાથે કરોડોની છેતરપિંડીનો આરોપ 1 - image

Hiralba Jadeja: ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદરમાં હિરલબા જાડેજા સહિત 6 લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે પોતે ફરિયાદી બની આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં  બેન્કના ખાતા ખોલી સાયબર ફ્રોડ કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેમાં નોંધવામાં આવ્યું છે કે, વિવિધ બેન્કના 14 ખાતા ખોલી અલગ-અલગ રાજ્યના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. પોરબંદરની કોટક બેન્કમાં 35.7 લાખ ખાતામાં મેળવીને સગેવગે કર્યા હતાં. આ સિવાય કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ 4 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સાયબર ક્રાઇમે ફરિયાદી બની દાખલ કર્યો ગુનો

સમગ્ર બાબતે પોલીસે વિગત આપતા જણાવ્યું કે, હિરલબા જાડેજા અને તેમના અન્ય કેટલાંક સાથીદારોએ નાના-નાના માણસોના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા અને તેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે, તે સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હતી. સાયબર ક્રાઇમની કેન્દ્રીય લેવલની જે સિન્ડિકેટ છે, તે અંતર્ગત આ એક ગંભીર પ્રકારનો ગુનો છે. તેથી, ક્રાઇમ બ્રાન્ચે હિરલબા જાડેજા અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકો હિતેશ વડોદરા, પાર સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ અને રાજુ મેર સામે IPC ની કલમ 411, 413, 420, 120(B)  અને IT એક્ટની કલમ 66 (B) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ મફત કાનૂની સહાય માટે આવક મર્યાદામાં કરાયો વધારો, 13 વર્ષે 1 લાખથી વધારી 3 લાખ કરાઈ

અગાઉના કેસમાં જેલમાં છે હિરલબાબ જાડેજા

નોંધનીય છે કે, હિરલબા જાડેજા પહેલાંથી અપહરણ અને ગોંધી રાખવાના કેસમાં જેલમાં છે. જેમાં મૂળ પોરબંદર અહિને હાલ ઈઝરાયલમાં રહેતી એક મહિલાનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં લીલુ ઉડેદરા નામની આ મહિલાએ હિરલબા પર પૈસાની ઉઘરાણીનો આરોપ લગાવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, 'મારા ઘરના અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે. મારા ઘરના લોકોની 15-17 દિવસ પહેલાં રાત્રે બે વાગ્યે હિરલબાના માણસો પૈસાના વહીવટ બાબતે લઈ ગયા છે અને ત્યાં ગોંધી રાખ્યા છે. મારા પર એક કરોડ લીધાનો દાવો કરે છે. મેં તેની પાસેથી કોઈ એક કરોડ લીધા નથી. તે લોકો મારા ઘરના પણ નથી છોડતા. મને એવું કહે છે કે, પૈસાનો બંદોબસ્ત કર તો જ ઘરના બચી શકશે. મેં બધાયના હાથ-પગ જોડી લીધા છે. તેમ છતાં કોઈને છોડતા નથી. મારા ઘરનાને બચાવો...' 

આ પણ વાંચોઃ રકઝક બાદ દિવ્યાંગને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધો, જામનગરમાં બ્રિજ નીચેથી મૃતદેહ મળવા મામલે મોટો ખુલાસો

પોલીસે કરી ધરપકડ

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, આ ગીતાબાએ મારા પતિ ભનાભાઈ ઓડેદરા, જમાઈ તેમજ દીકરા રણજીતનનું અપહરણ કરાવ્યું છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસે અપહરણ, જમીન-પ્લોટ, દાગીના આપી દેવા દબાણ, જામથી મારી નાંખવાની ધમકી, પૈસા કઢાવવા માટે ગોંધી રાખવા મામલે ગુનો દાખલ કરી હિરલબા જાડેજાની ધરપકડ કરી હતી.