લખતર શહેરી વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ગેસની પાઈપલાઈન નાંખવાની કામગીરીથી રોષ
- ગ્રામ પંચાયતના સદ્દસ્ય દ્વારા એસ્ટીમેન્ટ મુજબ કામ ન થતું હોવાનો આક્ષેપ
- તાત્કાલીક કામ બંધ કરાવી યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ
સુરેન્દ્રનગર : લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા વિવિધ વિકાસના કામોમાં ગેરરીતી તેમજ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ અવાર-નવાર કરવામાં આવે છે ત્યારે ગ્રામ પંચાયત વોર્ડ નં.૧૦ના સદ્દસ્ય દ્વારા જ લખતર ગામમાં નાંખવામાં આવી રહેલ ગેસની પાઈપલાઈનમાં પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નાંખવામાં ન આવતી હોવાની આક્ષેપ કરવામાં આવ્યો છે.
જેમાં ગ્રામ પંચાયત વોર્ડ નં.૧૦ના સદ્દસ્ય ભાવેશભાઈ પટેલના જણાવ્યા મુજબ ગુજરાત ગેસ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી માટે લખતર ગ્રામ પંચાયતમાં કોઈપણ પ્રકારની ડિપોઝીટ ભરવામાં ન આવી હોવા છતાં હાલ કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા કામદારો દ્વારા સીસી રોડ તેમજ પેવર બ્લોક તોડીને ગેસની પાઈપલાઈન નાંખવામાં આવી રહી છે પરંતુ ત્યારબાદ યોગ્ય રીતે રીપેરીંગ કરતા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેમજ આડેધડ ખોદકામના કારણે નજીવા વરસાદમાં કાદવ અને કીચડ થતાં નાના બાળકો સહિત સીનીયર સીટીઝનોને પડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે. જે મામલે કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ કામગીરી માટે સરપંચ સાથે વાત થઈ ગઈ હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. લખતરવાસીઓ પહેલેથી જ વાસ્મો અને પાણી સમિતિની પાણીની પાઈપલાઈન અંતર્ગત લીકેજની સમસ્યાઓથી ત્રસ્ત બન્યા છે ત્યારે હવે ગેસની પાઈપ લાઈન નાંખવાની કામગીરીથી હાલાકી ભોગવી રહ્યાં છે ત્યારે ગેસની પાઈપલાઈનના કારણે કોઈ જાનહાની કે સમસ્યા સર્જાશે તો કોણ જવાબદાર ? સહિતની બાબતો અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ કામગીરી બંધ કરાવી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.