Get The App

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ 1 - image

ધ્રાંગધ્રાના નવલગઢમાં દારૃનું દૂષણ નાથવા માટે

બુટલેગરો એટ્રોસિટીની કેસની ધમકી આપતા હોવાની રાવ ઃ ગ્રામજનોએસૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા દેશી દારૃના ગેરકાયદે વેચાણ અને બૂટલેગરોના કારણે ગામમાં અશાંતિ અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાતા મોટી સંખ્યામાં લોકો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, ન્યાયની આશાએ આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશબંધી કરી અપમાનિત કરવામાં આવ્યા હોવોનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યોે છે કે જ્યારે પણ દારૃના અડ્ડાઓ સામે અવાજ ઉઠાવવામાં આવે છે, ત્યારે બૂટલેગરો ખોટી એટ્રોસિટીની ફરિયાદો કરી નાગરિકોને ડરાવે છે. સ્થાનિક પોલીસ દ્વારા બૂટલેગરોને છાવરવામાં આવતા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે. રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોના જણાવ્યા મુજબ, પીએસઆઇ ડી.એચ. ચૌહાણે તેમની વાત સાંભળવાને બદલે ગેરવર્તન કર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ આપ્યો નહોતો. આ વલણથી રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી માંગ કરી છે કે ગામમાંથી દારૃના અડ્ડાઓ તાત્કાલિક નાબૂદ કરવામાં આવે. સાથે જ, જે અધિકારીઓ બૂટલેગરોને સહયોગ આપી રહ્યા છે તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ઇન્ચાર્જ પી.આઇ. એમ.બી.વીરજાનો ટેલિફોનીક સંપર્ક કરતા કે તેઓ ક્રાઇમ કોન્ફરન્સમાં હતા. ગ્રામજનો રજૂઆત કરી ત્યારે પી.એસ.આઇએ વર્તન કર્યું તે અયોગ્ય છે. ગ્રામજનોની રજૂઆત બાદ સ્ટાફને ગામમાં મોકલ્યા હતા પરંતુ ત્યાં દેશી દારૃ કે બીજુ શંકાસ્પદ મળી આવ્યું નહતું.