Gujarat

કેન્દ્રની નીતિઓ સામે રોષઃ આજે હડતાળમાં બેન્ક કર્મીઓ પણ જોડાશે

By GS TEAM
11 Feb 20262 mins read
કેન્દ્રની નીતિઓ સામે રોષઃ આજે હડતાળમાં બેન્ક કર્મીઓ પણ જોડાશે

ખાનગીકરણ, લેબર કોન્ટ્રાક્ટ, વિજ સુધારા વિરૂધ્ધ કર્મચારીઓનો એક સૂર : ગુજરાતમાં બેન્કોની 3678 શાખાઓ બંધ રહેશે, 15,000 કરોડના બેન્ક વ્યવહારો ખોરવાશે :  હડતાળની સાથે વિરોધ પ્રદર્શનો પણ થશે

રાજકોટ, : સરકારી સાહસોના ખાનગીકરણ, લેબર કોન્ટ્રાક્ટ, ચાર લેબરકોડ, વિજળી સુધારા બિલ અને મનરેગામાં  કેન્દ્ર સરકારે કરેલા ફેરફારો સામે દેશભરના કર્મચારીઓમાં રોષ ફેલાયેલો છે ે જે અન્વયે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ દ્વારા આવતીકાલ તા. 12ના શુક્રવારે અપાયેલા દેશવ્યાપી બંધના એલાનને ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસો.એ જોડાવાનો નિર્ણય લીધો છે જે અન્વયે આવતીકાલે બેન્ક કર્મચારીઓ કામકાજથી અલિપ્ત રહીને વિરોધ પ્રદર્શન કરશે તેમ ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયને આજે જાહેર કર્યું છે. 

અત્રેથી જારી બેન્ક યુનિયનના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતના બેન્કોની કૂલ 3678 શાખાઓ બંધ રહેશે અને આશરે 25,000 બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાશે. કેટલીક ખાનગી બેન્કના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાઈ રહ્યા છે અને કામકાજ બંધ રાખવા સાથે રાજકોટમાં બેન્ક ઓફ બરોડા મુખ્ય કચેરી ખાતે અને એ રીતે રાજ્યભરમાં સવારે વિરોધ પ્રદર્શનો પણ યોજાશે.  

બેન્ક હડતાળથી ગુજરાતમાં આશરે 15000 કરોડના નાણાકીય વ્યવહારો ખોરવાવાની શક્યતા છ,વળી, આવતીકાલે હડતાળ પછી બીજો શનિવાર છે અને રવિવારની રજા  આવી રહી છે.

સરકારની શ્રમ નીતિ, લેબર કોડ, આઉટસોર્સિંગ સામે કામદારોમાં તેમની નોકરીની સલામતિ અને પોતાનો અવાજ વ્યક્ત કરવાનો અધિકાર છિનવાઈ જવાનો ડર વ્યક્ત કરાયો છે. વિમા કંપનીમાં 100 ટકા એફ.ડી.આઈ.ને મંજુરી પરત ખેંચવા રોષભેર માંગણીઓ થઈ રહી છે.  કિસાન મોરચો તાજેતરમાં ભારત સરકારે અમેરિકા સાથે જે ડીલ કરી તે સામે સવાલો ઉઠાવી તેનાથી દેશના ખેડૂતોનું અહિત થવા મુદ્દે વિરોધ કરી રહ્યું છે તો વિમા ક્ષેત્રમાં ખાનગીકરણ એફડીઆઈ સહિતના મુદ્દે પહેલેથી જ વિરોધ છે.