Gujarat

CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું

By GS TEAM
30 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કરોના પડતર પ્રશ્નો મામલે વારંવાર ખાતરી આપવામાં આવી હોવા છતાં, વાસ્તવિક સ્થિતિમાં કોઇ સુધારો ન થતાં રાજ્યભરની આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 10મી માર્ચ 2025ના રોજ મુખ્યમંત્રી દ્વારા અને ત્યારબાદ 23મી માર્ચ 2026ના રોજ ચાર જેટલા કેબિનેટ મંત્રીઓ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રશ્નોના ઉકેલની હૈયાધારણા આપવામાં આવી હતી. જોકે, આ આશ્વાસનો માત્ર કાગળ પર જ રહેતા આંગણવાડી વર્કરોમાં હાલ 'ભારેલા અગ્નિ' જેવી સ્થિતિ સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું

Gujarat Anganwadi Workers: ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કરોના પડતર પ્રશ્નો મામલે વારંવાર ખાતરી આપવામાં આવી હોવા છતાં, વાસ્તવિક સ્થિતિમાં કોઇ સુધારો ન થતાં રાજ્યભરની આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 10મી માર્ચ 2025ના રોજ મુખ્યમંત્રી દ્વારા અને ત્યારબાદ 23મી માર્ચ 2026ના રોજ ચાર જેટલા કેબિનેટ મંત્રીઓ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રશ્નોના ઉકેલની હૈયાધારણા આપવામાં આવી હતી. જોકે, આ આશ્વાસનો માત્ર કાગળ પર જ રહેતા આંગણવાડી વર્કરોમાં હાલ 'ભારેલા અગ્નિ' જેવી સ્થિતિ સર્જાઈ છે.

હવે 6 મહિનાના બિલો બાકી રહેતા બહેનો આર્થિક મુસીબતમાં

આંગણવાડી વર્કરોનો આક્ષેપ છે કે કાળઝાળ મોંઘવારીના આ યુગમાં તેમના નજીવા પગારમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, છેલ્લા પાંચથી છ મહિનાથી બાળકોના પોષણ આહારના બિલોનું ચુકવણું પણ સરકારે કર્યું નથી. 23મી માર્ચની બેઠક બાદ પણ આંગણવાડી વર્કરોએ બાળકો ભૂખ્યા ન રહે તે માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને પોષણ આહાર પૂરો પાડ્યો હતો. આંગણવાડી વર્કરો હવે સરકાર સામે લેણિયાત બનીને ઊભી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી એક પણ રૂપિયો છૂટો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, છેલ્લા એક વર્ષથી મળવાપાત્ર મોબાઇલ ઇન્સેન્ટિવની રકમ પણ અધ્ધરતાલ છે.

વસતી ગણતરીની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય પગાર વધારા અને બાકી બિલોના પાયાના સાત પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંગણવાડી બહેનો માનસિક રીતે પડી ભાંગી છે. ઓનલાઇન કામગીરી અને રોજિંદા કામના અતિશય બોજ વચ્ચે હવે સરકાર દ્વારા આશા વર્કરો અને આંગણવાડી વર્કરોને વસતી ગણતરીની વધારાની કામગીરી સોંપવામાં આવી રહી છે. કર્મચારીઓને 'મશીન' સમજીને કામ થોપવાની આ નીતિ સામે બહેનોમાં ભારે આક્રોશ છે, જેના કારણે આંગણવાડી વર્કરોએ વસતી ગણતરીના તમામ કામોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ણય કર્યો છે. 

સરકારની આ ઉદાસીન નીતિ અને કથિત આર્થિક દેવાળા સામે આંગણવાડી બહેનો આરપારની લડાઇના મંડાણ કર્યા છે. સંગઠન દ્વારા સરકારને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે કે જો વર્તમાન મોંઘવારીને ધ્યાને રાખીને તાત્કાલિક પગાર વધારો નહીં કરાય અને કેબિનેટ મંત્રીઓ સમક્ષ રજૂ કરાયેલા પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે, તો ગુજરાતભરની આશરે 1 લાખ જેટલી આંગણવાડી વર્કરો રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલનનો પ્રારંભ કરશે. જેની તમામ જવાબદારી શાસક પક્ષ અને વહીવટી તંત્રની રહેશે.