Get The App

તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરા ગણવાની કામગીરી થોપાઈ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
Stray dog population survey


Stray dog population survey: સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતાં કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે ત્યારે ફરી રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવાઈ છે. હવે જાહેર સ્થળોએ રખડતાં કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.

શાળા, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, ગાર્ડનની આસપાસ રખડતાં કૂતરાંઓ ગણવા પડશે

છેલ્લાં કેટલાંય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે, પગાર વધારો કરાતો નથી પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ થોપી દેવામાં આવી રહ્યું છે. અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું પણ હડતાલ પાડવાની ચિમકી આપતાં સરકારે બેકફુટ પર આવવું પડ્યું હતું. આ જ પ્રમાણે, શિક્ષકોને પણ આ કામગીરી સોંપાઈ હતી ત્યારે ભારે વિરોધ થતાં સરકારે પરિપત્ર પરત લેવા મજબૂર થવું પડ્યું હતું.

પગાર વધારાના બદલે કામનું ભારણ વધતા વિરોધ પ્રદર્શન

છેલ્લાં ત્રણેક દિવસથી આંગણવાડી બહેનોએ હડતાળ પાડી છે. કામથી અળગા રહીને જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળે આક્ષેપ કર્યો છે કે, હવે સરકારે એવું આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાનું કામ સોંપ્યું છે. એવો પરિપત્ર કરાયો છે કે, આંગણવાડી બહેનોએ શાળા, કોલેજો, રેલ્વે સ્ટેશન, એસટી સ્ટેશન, ધાર્મિક સ્થળો, બાગ બગીચા, કમ્યુનિટી હોલ, વારીગૃહ, ગોડાઉન, આઈટીઆઈ જેવા સ્થળોની આસપાસ રખડતાં કૂતરાઓની ગણતરી કરવાની રહેશે. અને તાલુકા પશુચિકિત્સા અધિકારીને રિપોર્ટ સુપરત કરવાનો રહેશે.

આ પણ વાંચો: ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું 'સ્યુસાઈડ પોઇન્ટ'! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું

આમ, સરકારને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવો નથી પણ કામનો વધારો કરવો છે. હાઈકોર્ટના આદેશ પછી પણ આંગણવાડી બહેનોનો પગાર વધારો કરાયો નથી ત્યારે હવે વિધાનસભાનો ઘેરાવ કરવા તૈયારીઓ કરવા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરા ગણવાની કામગીરી થોપાઈ 2 - image