આણંદ, ખંભાત અને પેટલાદમાં 24 કલાકમાં સરેરાશ 2 ઈંચ વરસાદ
- મંગળવારે રાતે વાતાવરણમાં પલટા બાદ વરસાદ પડયો
- આણંદ શહેરમાં ગણેશ ચોકડી, સરદાર ગંજ, 100 ફૂટ રોડ ઉપર પાણી ભરાયા : આંકલાવ, સોજીત્રા, તારાપુરમાં એક ઈંચ વરસાદ, ઉમરેઠમાં કોરું ધાકોર
આણંદની ડીઝાસ્ટર કચેરીના અહેવાલ અનુસાર ગઈકાલે સાંજ બાદ એકાએક વાતાવરણ બદલાયું હતું. પેટલાદ અને ખંભાતમાં પવન સાથે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. પેટલાદમાં રાત્રીના ૮થી ૧૦ની વચ્ચે માત્ર બે મિ.મી. વરસાદ પડયો હતો. જ્યારે ખંભાતમાં ધોધમાર વરસાદ પડતા બે ઈંચ સુધી પાણી વરસ્યું હતું. ત્યારબાદ રાત્રીના ૧૦ વાગ્યા બાદ સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાઈ જવા પામ્યું હતું. ઉમરેઠ, ખંભાત અને બોરસદને બાદ કરતા તમામ તાલુકામાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો હતો. જે રાત્રીના બાર વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.
આણંદની ડીઝાસ્ટર કચેરીના અહેવાલ અનુસાર મંગળવાર સવારના છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમ્યાન તારાપુરમાં ૩૮ મિ.મી., સોજીત્રામાં ૩૦, ઉમરેઠમાં ૦, આણંદમાં ૬૭, પેટલાદમાં ૬૮, ખંભાતમાં ૫૧, બોરસદમાં ૬ અને આંકલાવમાં ૨૧ મિ.મી. વરસાદ પડયો હતો. સમગ્ર તાલુકામાં સરેરાશ ૩૫.૧૩ મિ.મી. જેટલો વરસાદ પડયો હતો.
આણંદમાં રાતે પડેલા ધોધમાર વરસાદને કારણે નિચાણવાળા અનેક વિસ્તરોમાં પાણી ભરાઈ ગયા હતા. આણંદની ગણેશ ચોકડી પાસેના સવસ રોડ, સરદારગંજ રોડ, પાયોનિયર ચોકડી, ૧૦૦ ફુટના રોડ ઉપર પાણી ભરાયા હતા. જો કે, રાત્રીના ૧૨ વાગ્યા બાદ વરસાદે વિરામ લેતાં ધીરેધીરે પાણી ઓસરી ગયા હતા. જ્યારે કેટલીક જગ્યાએ હજી પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે.
ખંભાતમાં રાતે બે કલાકમાં બે ઈંચ વરસાદ : રોડ પર ઝાડ પડયા
ખંભાતમાં રાત્રે ૮થી ૧૦ કલાક દરમ્યાન બે ઇંચ વરસાદ ખાબકયો હોવાનું ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવાયું હતું. ખંભાત શહેરના નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ધર્મજ ખંભાત રોડ, ખંભાત ડાલી રોડ ઉપર ઝાડના ડાળખા પણ પડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. મોટાભાગના વિસ્તારોમાં રાત્રે વીજળી ગુલ થવાની પણ ઘટનાઓ બની હતી.
આંકલાવ, બોરસદ અને સોજીત્રામાં વીજળી ડૂલ થતા હાલાકી
આંકલાવ, સોજીત્રા અને બોરસદ વિસ્તારમાં રાતે ૮ ઝરમર વરસાદ પડતા જ લાઈટો ડૂલ થઈ જતા સ્થાનિકોએ પરેશાની ભોગવવી પડી હતી. વીજ કંપનીના ફરિયાદ સહિતના નંબર પર સંપર્ક કરવા છતાં વહેલો વીજ પુરવઠો પૂર્વવત્ કરવા કામગીરી કરાઈ ન હતી. વીજ પૂરવઠો વારંવાર જતો રહેતા અંધારામાં વરસાદના લીધે ઘણી સમસ્યાઓ ઊભી થઈ હતી.
આણંદમાં ભાલેજ બ્રિજ પાસે સોસાયટીઓમાં પાણી ભરાયા
આણંદ સામરખા ચોકડીથી ભાલેજ ઓવરબ્રિજ સુધી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છે. સામરખા ચોકડીએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી પાંચથી છ દિવસ સુધી પાણીનો ભરાવો રહેતા રોડ તૂટી જાય છે. વરસાદી પાણી સોસાયટીઓમાં ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થતું હોવાનું સ્થાનિક રહીશો કહી રહ્યા છે.