Gujarat

આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા

By GS TEAM
21 Feb 20261 min read
આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા

- ફેસબૂકમાં મિત્રતા કરી મળવા બોલાવ્યા'તા

- 6 શખ્સોએ રૂમમાં ઘૂસી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર માર્યો, 8 શખ્સો સામે ગુનો

અમદાવાદ : અજાણી ફેસબૂક મહિલા મિત્રએ આણંદના વતની એનઆરઆઈ આધેડને અમદાવાદના નરોડાના સ્વામીનારાયણ પાર્ક ખાતે મળવા બોલાવ્યા હતા. બાદમાં બે મહિલા સહિત કુલ ૮ લોકો સાથે મળી એનઆરઆઈ આધેડને હનીટ્રેપમાં ફસાવી ૨૦ લાખ પડાવ્યા હોવાની ૧૯ ફેબુ્રઆરીના રોજ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમેરિકામાં રહેતાં મૂળ આણંદના શિલિના વતની શૈલેષભાઈ પટેલને ડિસેમ્બર ૨૦૨૫માં ફેસબૂક પર રિયા નામનું આઈડી ધરાવતી યુવતી સાથે મિત્રતા થઈ હતી. શૈલેષભાઈ અમદાવાદ આવ્યા હોવાથી ૧૨ ડિસેમ્બરના રોજ રિયાને મળવા નરોડાના સ્વામીનારાયણ પાર્ક ગયાં હતાં. જ્યાંં રિયાએ શૈલેષભાઈનો અન્ય બે સ્ત્રીઓને પોતાની માસી અને બહેન કહીં પરિચય કરાવ્યો હતો. બાદમાં ત્રણેય સ્ત્રીઓએ શૈલેષભાઈને રૂમમાં લઈ જઈ હનીટ્રેપમાં ફસાવ્યા હતાં. તે દરમિયાન અજાણ્યા છ શખ્સોએ રૂમમાં ઘૂસી આવી પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનું જણાવી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. બાદમાં સેટલમેન્ટ માટે ૫૦ લાખ માંગી શૈલેષભાઈને ગડદાપાટુ માર્યા હતાં. જેથી મામલો વધુ ન વણસે તે માટે શૈલેષભાઈએ પોતાના ધર્મના ભાણેજ વિરપાલસિંહ સિસોદિયા અને મિત્ર પાસેથી ૨૦ લાખ લઈ આ શખ્સોને આપ્યા હતાં. બાદમાં શૈલેષભાઈ અમેરિકા પરત ફરી ગયાં હતા, જ્યારે તોડબાજ ટોળકીને પોલીસે ઝડપી લીધી હતી. આ બનાવ અંગે શૈલેષભાઈ વતી વિરપાલસિંહે પોલીસ ફરિયાદ નોંધાવી છે.