For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતની ચર્ચાસ્પદ 25 બેઠકોનો રસપ્રદ ઈતિહાસ, શું આ વખતે કંઈ નવા-જુની જોવા મળશે ?

ગુજરાતમાં AAPની પણ એન્ટ્રી થતાં મોટાભાગની બેઠકો પર રસપ્રદ સમીકરણો સર્જાઈ શકે છે

દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં આ વખતની ચૂંટણીમાં ચતુષ્કોણિય જંગ જોવા મળશે

Updated: Nov 10th, 2022

Article Content Image

અમદાવાદ,તા.10 નવેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પણ પુરજોશમાં કામગીરીમાં લાગી ગયા છે. ગુજરાતમાં હાલ ચૂંટણીની મોસમ પુરબહારમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ છે. તો આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં જ ચૂંટણી રોમાંચક બનવાની અપેક્ષા છે. ત્યારે આજે ગુજરાતની એવી 25 ચર્ચાસ્પદ બેઠકો વિશે જણાવીશું, જેનો ચૂંટણી ઈતિહાસ પણ રસપ્રદ રહ્યો છે.

મણિનગર વિધાનસભા બેઠક

અમદાવાદ શહેરની મણિનગર વિધાનસભા બેઠકમાં હિન્દુ મતદારોની સંખ્યા વધુ છે, તેથી જ 1990ના દાયકાની શરૂઆતથી આ બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ 2002, 2007 અને 2014માં મણિનગરથી ચૂંટણી જીતી હતી. હાલમાં આ બેઠક પર ભાજપનો કબજો છે.

ઘાટલોડિયા વિધાનસભા બેઠક

અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક પણ હિંદુ બહુમતી ધરાવતો વિસ્તાર છે. ઘાટલોડિયામાં મોટી સંખ્યામાં પાટીદાર મતદારો છે. એટલું જ નહીં ઘાટલોડિયામાંથી રાજ્યને બે મુખ્યમંત્રી મળ્યા છે. આ બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલ જીત્યા હતા. ભાજપે 2017માં ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી. અનામત આંદોલનથી ઉભો થયેલો વિવાદ છતાં ભૂપેન્દ્ર પટેલે આ બેઠક પરથી 1.17 લાખ મતોની સરસાઈથી જીત્યા હતા.

મોરબી વિધાનસભા બેઠક

આ બેઠક પણ પાટીદાર પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. 2017ની ચૂંટણીમાં ભાજપના કાંતિ અમૃતિયા કોંગ્રેસના બ્રિજેશ મેરજ સામે હારી ગયા હતા. ત્યારબાદ મેરજા ભાજપમાં જોડાયા અને 2020ની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. મેરજા હવે સરકારમાં રાજ્યમાં મંત્રી છે. આ વખતે બ્રિજ દુર્ઘટના બાદ લોકો કોની તરફેણમાં મતદાન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક

ઓક્ટોબર 2001માં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી 2002માં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. આ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા 1980થી 2007 વચ્ચે છ વખત જીત નોંધાવી હતી. તેમણે 2002માં પીએમ મોદી માટે આ બેઠકખાલી કરી હતી. વર્ષ 2017માં ચૂંટણી રસપ્રદ બની ગઈ હતી કારણ કે રાજકોટ પૂર્વના કોંગ્રેસના તત્કાલિક ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ જાહેરાત કરી હતી કે, તેઓ તેમની સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડવાને બદલે વિજય રૂપાણી સામે ચૂંટણી લડશે. જોકે આ ચૂંટણીમાં ઈન્દ્રનીલ રાજગુરુ હારી ગયા હતા. તાજેતરમાં જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જોકે આમ આદમી પાર્ટીએ સીએમ તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરતા જ ઈન્દ્રનીલ રાજગુરૂ ફરી કોંગ્રેસમાં પરત ફર્યા હતા.

ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક

ગાંધીનગર શહેરમાં કોઈ ચોક્કસ જ્ઞાતિ સમીકરણ જોવા મળતું નથી કારણ કે ગાંધીનગરમાં મોટાભાગના લોકો રાજ્ય સરકારના કર્મચારીઓ છે અથવા તેમના પરિવારના સભ્યો રહે છે. વર્ષ 2008માં ગાંધીનગર ઉત્તર મતવિસ્તારની રચના કરવામાં આવી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપના અશોક પટેલ બહુ ઓછા માર્જિનથી જીત્યા હતા, તો 2017માં તેઓ કોંગ્રેસના નેતા સીજે ચાવડા સામે હારી ગયા હતા.

અમરેલી વિધાનસભા બેઠક

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા 1962માં સૌરાષ્ટ્રના અમરેલીમાંથી ચૂંટાયા હતા. 1985થી 2002 સુધી અમરેલીમાંથી ભાજપના ઉમેદવારો જ જીતતા આવ્યા છે. જોકે 2002માં મોટો અપસેટ સર્જાયો હતો અને આ બેઠક કોંગ્રેસના પરેશ ધાનાણીએ ભાજપ પાસેથી છીનવી લીધી હતી. 2007માં પરેશાણ ધાનાણીનો પરાજય થયો હતો, પરંતુ 2012 અને 2017માં ફરી તેઓ જીતી ગયા હતા.

પોરબંદર વિધાનસભા બેઠક

આ વિધાનસભા ક્ષેત્રમાં મેર અને કોળી મતદારોનું પ્રભુત્વ વધુ જોવા મળે છે. આ મતવિસ્તારમાં ભાજપના બાબુ બોખીરીયા અને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા વચ્ચે લાંબા સમયથી ટક્કર જોવા મળી રહી છે. 2017માં બોખીરિયાએ મોઢવાડિયાને 1,855 મતોથી હરાવ્યા હતા.

કુતિયાણા વિધાનસભા બેઠક

શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસે ગુજરાતમાં આ એકમાત્ર બેઠક છે. કથિત ગેંગસ્ટર સ્વર્ગસ્થ સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજાએ 2012 અને 2017માં આ બેઠક પરથી ભાજપને હરાવ્યું હતું. કાંધલ જાડેજાએ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોને મત આપ્યો હતો, જેના કારણે એનસીપીએ તેમને નોટિસ ફટકારી હતી.

ગોંડલ વિધાનસભા બેઠક

આ મતવિસ્તારમાં પટેલ અને રાજપૂત સમુદાયો વચ્ચે રાજકીય હરીફાઈ જોવા મળતી રહી છે. અહીંના ધારાસભ્ય ભાજપના ગીતાબેન જાડેજા છે. ગીતાબેન રાજપૂત છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની છે. જયરાજસિંહ જાડેજા હત્યાના કેસમાં જામીન પર બહાર છે, તેથી ચૂંટણીમાં આ બેઠકના સમીકરણો પણ રસપ્રદ બની રહેશે.

મહેસાણા વિધાનસભા બેઠક

મહેસાણા વિધાનસભા બેઠક 1990થી ભાજપનો ગઢ છે. 2012 અને 2017માં ભાજપના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આ પાટીદાર પ્રભુત્વવાળી બેઠક પરથી જીત્યા હતા. મહેસાણા શહેરમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન હિંસક દેખાવો થયા હતા. પરિણામે 2017ની ચૂંટણીમાં પટેલોના મત લગભગ 7,100 ઘટી ગયા હતા.

વરાછા વિધાનસભા બેઠક

આ બેઠક સુરત જિલ્લાના પાટીદાર પ્રભુત્વવાળી બેઠક છે. પાટીદાર અનામત આંદોલન વખતે આ વરાછામાં હિંસાઓ પણ થઈ હતી. ગુજરાતના પૂર્વ મંત્રી કિશોર કાનાણીએ 2012માં અહીંથી ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ તેને જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.

ઝઘડિયા વિધાનસભા બેઠક

ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના કરનાર છોટુ વસાવા આ આદિવાસી બેઠક પરથી 1990થી સતત જીતી રહ્યા છે. આ પક્ષનો ડેડિયાપારા બેઠક પર પણ દબદબો છે. આ વખતે નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં છોટુ વસાવાએ આમ આદમી પાર્ટી સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

આણંદ વિધાનસભા બેઠક

આણંદ પટેલ અને ઓબીસી મતદારોની મિશ્ર વસ્તી ધરાવતો જિલ્લો છે. હાલ આ બેઠક પર કોંગ્રેસના કાંતિ સોઢા પરમારનો કબજો છે. 2012 અને 2014ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે કાંતિ સોઢાની હાર થઈ હતી.

પાવી જેતપુર અનુસૂચિત (જનજાતિ)

છોટા ઉદેપુર જિલ્લાની આ અનામત બેઠક પર કોંગ્રેસનો કબજો છે. હાલમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા કોંગ્રેસની ટિકિટ પર 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી જીત્યા હતા.

જસદણ વિધાનસભા બેઠક

આ બેઠક પર ભાજપનો કબજો છે. રાજ્યના સૌથી કદાવર કોળી નેતાઓમાંના એક ભાજપના કુંવરજી બાવળિયા પાંચ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમણે વર્ષ 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીતી હતી પરંતુ ત્યાર બાદ તેઓ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જતા રહ્યા હતા.

છોટા ઉદેપુર (અનુસૂચિત જનજાતિ)

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને 11 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા વર્ષ 2012થી છોટા ઉદેપુર બેઠક પરથી જીતી રહ્યા છે. હવે તેઓ નિવૃત્ત થયા છે. તેઓ તેમના પુત્ર માટે ટિકિટ માંગી રહ્યા છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નારણ રાઠવા પણ તેમના પુત્ર માટે કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવાની ફિરાકમાં છે. આવી સ્થિતિમાં અહીં પણ ટ્રેન્ડ બદલાઈ શકે છે.

ભરૂચ વિધાનસભા મતવિસ્તાર

મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારોને કારણે આ બેઠક લોકોની નજરમાં રહે છે. જો કે તેમ છતાં 1990થી ભાજપ આ બેઠક પરથી જીતતું આવ્યું છે.

ગોધરા વિધાનસભા મતવિસ્તાર

આ વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીકે ​​રાઉલજી 2007 અને 2012માં આ બેઠક પરથી જીત્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2017માં તેઓ કોંગ્રેસ સામે બહુ ઓછા અંતરથી જીત્યા હતા.

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર

ભાજપના દિગ્ગજ અને કોળી નેતા પુરુષોત્તમ સોલંકી 2012થી આ બેઠક પરથી જીતી રહ્યા છે. 

વડગામ વિધાનસભા મતવિસ્તાર

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા.

ઊંઝા વિધાનસભા મતવિસ્તાર

નરેન્દ્ર મોદીનું વતન વડનગર મહેસાણા જિલ્લાનાં ઊંઝા વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં કડવા પાટીદારોની સંખ્યા વધુ છે તેમજ ઉમિયાધામના કારણે પણ આ વિસ્તાર પ્રખ્યાત છે. આ બેઠક પરથી વર્ષ 2017માં કોંગ્રેસના આશા પટેલનો વિજય થયો હતો. જોકે બાદમાં તેઓ ભાજપમાં જતા રહ્યા હતા. વર્ષ 2019માં તેમણે પેટાચૂંટણી જીતી હતી. ડિસેમ્બર 2021માં ડેન્ગ્યુના કારણે તેમનું મૃત્યુ થતા આ સીટ ખાલી પડી હતી.

રાધનપુર વિધાનસભા મતવિસ્તાર

2017ની ચૂંટણીમાં ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અહીંથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. વર્ષ 2019માં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. પેટાચૂંટણીમાં તેઓ કોંગ્રેસના રઘુ દેસાઈ સામે હારી ગયા હતા. કહેવાય છે કે ભાજપના સ્થાનિક નેતાઓ તેમની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા છે.

લિંબાયત વિધાનસભા મતવિસ્તાર

લિંબાયત બેઠક ગુજરાત ભાજપના વડા સી.આર.પાટીલના નવસારી લોકસભા મતવિસ્તારમાં આવે છે. આ વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ વસ્તી વધુ છે. ભાજપ તરફથી સંગીતા પાટીલે 2012થી અહીંથી જીતી મેળવી હતી. સંગીતા પાટીલે લિંબાયતમાં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ લાગુ કરવાની માંગ કરી છે.

દરિયાપુર વિધાનસભા મતવિસ્તાર

અમદાવાદ શહેરની દરિયાપુર વિધાનસભા મતવિસ્તાર મુસ્લિમ બહુમતી બેઠક છે. આ બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી, ત્યારથી કોંગ્રેસના ગિયાસુદ્દીન શેખ વિજેતા થતા રહ્યા છે. આ વખતે AIMIM અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, જેના કારણે અહીં ચતુષ્કોણીય મુકાબલો જોવા મળી શકે છે.

જમાલપુર ખાડિયા વિધાનસભા મતવિસ્તાર

જમાલપુર બેઠક અમદાવાદની મુસ્લિમ બહુમતી બેઠક છે. આ બેઠક વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી હતી, ત્યારથી આ બેઠક પર ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સાબીર કાબલીવાલા વચ્ચેની સ્પર્ધાને કારણે મુસ્લિમ મતોનું વિભાજન થયું હતું. આ કારણોસર આ બેઠક પરથી ભાજપની જીત થઈ હતી. વર્ષ 2017માં કોંગ્રેસે આ બેઠક જીતી હતી. કાબલીવાલા હવે AIMIMના ગુજરાત યુનિટના પ્રમુખ છે. આવી સ્થિતિમાં અહીં રસપ્રદ સ્પર્ધા થવાની સંભાવના છે.

Gujarat