Gujarat

નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ સમયે બનેલી ઘટના, જમાલપુરમાં ગાજરનો હલવો ખાધા પછી ૩૪ લોકોને ફુડ પોઈઝનીંગ

By GS TEAM
7 Dec 20251 min read
નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ સમયે બનેલી ઘટના, જમાલપુરમાં ગાજરનો હલવો ખાધા પછી ૩૪ લોકોને ફુડ પોઈઝનીંગ

 અમદાવાદ, શનિવાર,6 ડિસેમ્બર,2025

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં શુક્રવારે નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ નિમિત્તે ધાર્મિક વિધિ પછી ભોજન સમારંભ યોજાયો હતો.જેમાં ૩૪  લોકોને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી.  અન્ય ચીજોની સાથે ગાજરનો હલવો પીરસવામા આવ્યો હતો. જમણવાર પુરો થયા પછી હાજર એવા લોકોએ પેટમાં દુખાવો, ઉલટી થવી અને ગભરામણ જેવી ફરિયાદ કરતા પાંચ પીપળી ખાતે આવેલી હોસ્પિટલ તથા કોર્પોરેશન સંચાલિત ચેપી રોગની હોસ્પિટલમા સારવાર આપવામા આવી હતી.

 આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડની ગફુરજી ચાલી ખાતે શુક્રવારે ધાર્મિક વિધિ પછી ભોજન સમારંભનુ આયોજન કરાયુ હતુ.જે સમયે ફુડ પોઈઝનીંગની અસર પામેલાઓ પૈકી ૧૫થી વધુ લોકોને પાંચપીપળી ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ચેપીરોગની હોસ્પિટલ ખાતે પણ ૧૧ લોકોને સારવાર અપાઈ હતી.જયારે અન્ય લોકોએ તેમના ઘરે જ સારવાર લીધી હતી.કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર ચિરાગ શાહે કહયુ,હાલ એક દર્દી સારવાર હેઠળ છે. હેલ્થ વિભાગ તરફથી ગાજરના હલવા ઉપરાંત નોનવેજ અને ખારી પુરીના સેમ્પલ તપાસ માટે લેવામા આવ્યા છે. ઘટના સ્થળ આસપાસના રહીશોને કલોરીન ટેબલેટ સહિતની ચીજોનુ વિતરણ કરવામા આવ્યુ છે.