જમીને ચાલવા નીકળેલ વૃદ્ધાએ રૂ.5.19 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા
ઘરમાં સુખ શાંતિ માટે વૃદ્ધાએ પહેરેલ દાગીના થેલીમાં મુકાવી મહિલા સહિત બે અજાણી વ્યક્તિ દાગીના લઈ ફરાર
હરણી વિસ્તારમાં રાત્રે જમીને ચાલવા નીકળેલ વૃદ્ધાને ઘરમાં સુખ શાંતિ માટે પહેરેલ દાગીના થેલીમાં મૂકવાનું જણાવી અજાણ્યા મહિલા અને પુરુષ વૃદ્ધાએ પહેરેલ રૂ.5.19 લાખની કિંમતમાં દાગીના લઈ નાસી છૂટ્યા હોવાની ઘટના સામે આવી છે.
હરણી એરપોર્ટ નજીક શિવોહમ રેસીડેન્સીમાં રહેતા 64 વર્ષીય મીનાબેન પંચાલ શિક્ષિકામાંથી નિવૃત્ત થયેલ છે. તેમણે ફરીયાદ નોંધાવી હતી કે, ગઇ તા. 11 જૂનના રોજ રાત્રે 9:45 કલાકની આસપાસ મે જમીને ચાલવા માટે નીકળી હતી. ચાલીને થાકી જતા મે બ્રાઇટ શાળાની પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસે ઊભી રહી હતી. તે વખતે એક અજાણ્યો વ્યક્તિ મારી પાસે સરનામું પૂછવાના બહાને આવી પહોંચ્યો હતો. થોડીવારમાં એક અજાણી મહિલા પણ આવી પહોંચી હતી. ત્યારબાદ તે વ્યક્તિએ અગરબત્તીની માંગણી કરતા મહિલા મને નજીકમાંથી અગરબત્તી લઈ આવીએ તેમ કહી સાથે લઈ ગઈ હતી. ત્યારબાદ પ્રાથમિક શાળા પાસે અજાણ્યો વ્યક્તિ પણ આવી પહોંચ્યો હતો. અને મહિલાએ મને કહ્યું હતું કે, "તમારા ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તો, પહેરેલ દાગીના કાઢી એક થેલીમાં મૂકી મોતીભાઈ સર્કલ તરફ સ્ટ્રીટ લાઈટના થાંભલા પાસે જઈને આવો." જેથી મે હાથમાં પહેરેલ રૂ.4.50 લાખની કિંમતની સોનાની બે બંગડી, ગળામાં પહેરેલ રૂ.44 હજારની કિંમતની સોનાની ચેન તથા રૂ. 25હજારની કિંમતની એક વીટી કાઢીને તે મહિલાની થેલીમાં મૂકી સ્ટ્રીટ લાઈટના થાંભલા પાસે ચાલતા ગઈ હતી. અને પાછળ ફરી જોતા બંને નાસી છૂટ્યા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે હરણી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી.