અમદાવાદ સિવિલમાં દરરોજ નોંધાતા હૃદય રોગના દર્દીઓનો આંકડો ચિંતાજનક
Ahmedabad Civil Hospital: છેલ્લા કેટલાક સમયથી હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલની હાર્ટ હોસ્પિટલમાં હાલ પ્રતિ દિવસે સરેરાશ 925 દર્દી સારવાર માટે આવે છે. આ ઉપરાંત દૈનિક સરેરાશ 128 દર્દીને દાખલ કરવા પડે છે.
આ વર્ષે 13 હજાર જેટલા બાળકોમાં પણ હૃદયની સમસ્યાથી ઈકોકાર્ડિયો કરવાની જરૂર પડી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલની હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે અત્યારસુધી આઉટડોરમાં 1.32 લાખ, ઈન્ડોરમાં 18239 જેટલા દર્દી નોંધાયા છે. જેમાં 174 દર્દીમાં બલૂન, 539માં ડિવાઇસ, 501માં પેસમેકર, 2842માં સ્ટેન્ટ વિના પ્લાસ્ટિ જેવી હૃદયની સારવાર કરાઇ છે. કુલ 98214 ઈસીજી કરવામાં આવ્યા છે. કુલ 77702 દર્દીમાં ઈકો કરાયું છે. આ પૈકી 12944 બાળ દર્દીઓનો પણ સમાવેશ થાય છે.
સિવિલની હાર્ટ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ૩ લાખથી વધુ દર્દી ઓપીડીમાં નોંધાય છે. જેમાં 2023માં 3.35 લાખ, 2024માં 3.63 લાખ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 2023માં 47230, 2024માં 50,077 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલની હાર્ટ હોસ્પિટલ ઉપરાંત ખાનગીમાં પણ હવે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે. જેમાં ૪૦થી ઓછી વયના યુવા દર્દીઓનું પ્રમાણ હવે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.