શહેરમાં દૈનિક સરેરાશ 102 લોકો બને છે 'ડોગ બાઈટ'નો શિકાર
- છેલ્લા 5 મહિના દરમિયાન 15 હજારથી વધુ લોકો કુતરાનો શિકાર બન્યા
- સર ટી. હોસ્પિટલમાં જાન્યુઆરીથી મે માસ દરમિયાન કુલ 15,511 લોકોએ કુતરું કરડયાં બાદ સારવાર મેળવી
ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન રખડતા અને શેરીના કુતરાઓ કરડવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેર અને જિલ્લામાં જાન્યુઆરીથી મે-૨૦૨૫ના દરમિયાન દૈનિક સરેરાશ ૧૦૨ લોકો ડોગ બાઈટનો શિકાર બને છે, જેમાં ૬૪ પુરૂષો, ૨૩ સ્ત્રીઓ અને ૧૨ સુધીની ઉંમરના ૧૫ બાળકોનો સમાવેશ થાય છે. ભાવનગરમાં છેલ્લા પાંચ માસના સમયગાળામાં કુલ ૧૫,૫૧૧ લોકો ડોગ બાઈટનો શિકાર બન્યા છે.એટલે કે આ સમયગાળા દરમિયાન શહેર અને જિલ્લામાંથી ૯,૬૬૬ પુરૂષો, ૩,૪૮૫ સ્ત્રીઓ તથા ૨,૩૬૦ નાના બાળકોએ કુતરું કરડવાના લીધે સર ટી.હોસ્પિટલમાં સારવાર મેળવી છે. આંકડાઓ પ્રમાણે જાન્યુઆરી-૨૦૨૫માં સૌથી વધુ ૩,૫૯૪ કેસ તથા સૌથી ઓછા ગત મે માસમાં ૨,૫૭૫ કેસ નોંધાયા છે. હોસ્પિટલના તબીબી સૂત્રોના જણાવ્યાનુંસાર, ડોગ બાઈટના કારણે દર્દીઓને થયેલી ઈજા તથા દર્દીને સામાન્ય કુતરું કરડયું છે કે હડકાયું તેના આધારને કેન્દ્રમાં રાખી તેની સારવાર આપવામાં આવે છે. જે મુજબ છેલ્લા પાંચ મહિના દરમિયાન ૧,૫૯૮ કેસ એવા સામે આવ્યા છે જેમાં દર્દીને ગંભીર ઈજા પહોંચી હોય અથવા હડકાયું કુતરું કરડયું હોય.એટલું જ નહીં, અહીં દૈનિક આ પ્રકારના સરેરાશ ૧૦ કેસ નોંધાય છે અને આવી સ્થિતિમાં દર્દીને વિશેષ સારવાર આપવામાં આવતી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. હડકાયું કુતરું કરડવા કે કુતરું કરડવાના લીધે ગંભીર ઈજા થવાના સૌથી વધુ ગત મે માસમાં ૩૫૧ કેસ નોંધાયા છે એ જ રીતે સૌથી ઓછા ગત ફેબુ્રઆરી માસમાં ૨૬૯ કેસ નોંધાયા છે.તે અત્રે નોંધનિય છે.