Gujarat

અમદાવાદમાં AMTS કર્મીઓને અન્યાય, ટ્રિબ્યુનલનો હુકમ છતાં સીનિયરોને કાયમી કરવામાં ઠાગાઠૈયા

By GS TEAM
12 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)માં વર્ષોથી સેવા આપતા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો અને કન્ડક્ટરોને કાયમી કરવાના ટ્રિબ્યુનલના આદેશ બાદ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આડોડાઈ હવે હાઈકોર્ટના દ્વારે પહોંચી છે. ગુજરાત મજૂર સભા દ્વારા એડવોકેટ અમરીશ પટેલ મારફતે દાખલ કરવામાં આવેલી સિવિલ એપ્લિકેશનમાં આરોપ લગાવાયો છે કે, તંત્ર કામદારોના હકો છીનવવા માટે કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં AMTS કર્મીઓને અન્યાય, ટ્રિબ્યુનલનો હુકમ છતાં સીનિયરોને કાયમી કરવામાં ઠાગાઠૈયા

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS)માં વર્ષોથી સેવા આપતા કોન્ટ્રાક્ટ ડ્રાઇવરો અને કન્ડક્ટરોને કાયમી કરવાના ટ્રિબ્યુનલના આદેશ બાદ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આડોડાઈ હવે હાઇકોર્ટના દ્વારે પહોંચી છે. ગુજરાત મજૂર સભા દ્વારા ઍડ્વૉકેટ અમરીશ પટેલ મારફતે દાખલ કરવામાં આવેલી સિવિલ ઍપ્લિકેશનમાં આરોપ લગાવાયો છે કે, તંત્ર કામદારોના હકો છીનવવા માટે કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરી રહ્યું છે. 

AMTSમાં ચાલતી કોન્ટ્રાક્ટ પ્રથા સામે હાઇકોર્ટમાં અરજી

કેસની વિગતો મુજબ, ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલે 9 માર્ચ 2018ના રોજ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જેમાં 5 વર્ષ અને 900 દિવસ પૂરા કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી ગણી તેમને પાંચમા અને છઠ્ઠા પગાર પંચના લાભો આપવા આદેશ કર્યો હતો. આ આદેશમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, કોન્ટ્રાક્ટ આધારિત આર્ટિફિશિયલ બ્રેક આપવાની પ્રથા ગેરકાનૂની છે અને નિવૃત્તિની વય 58 વર્ષ હોવી જોઈએ. જોકે, તંત્રએ આ આદેશનું પાલન કરવાને બદલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ હાઇકોર્ટે ટ્રિબ્યુનલના આદેશ પર કોઈ સ્ટે આપ્યો નથી. 

આમ છતાં, AMTS દ્વારા તાજેતરમાં 30 માર્ચ 2026ના રોજ એક નવું ટેન્ડર (AMTS 05) બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર દ્વારા કંડક્ટરોનું કામ આઉટસોર્સિંગ એજન્સીને સોંપવાની હિલચાલ ચાલી રહી છે. અરજદારનો દાવો છે કે, આ પગલું માત્ર કામદારોને કાયમી થતા રોકવા અને ટ્રિબ્યુનલના ઍવૉર્ડને નિરર્થક બનાવવા માટે લેવામાં આવ્યું છે. ઍડ્વૉકેટ અમરીશ પટેલે અરજદાર વતી જણાવ્યા મુજબ, ટ્રાન્સપોર્ટ સેવામાં ડ્રાઇવર અને કંડક્ટરની કામગીરી મૂળભૂત અને કાયમી સ્વરૂપની છે, જેનું આઉટસોર્સિંગ કરી શકાય નહીં. 

આ અરજીમાં હાઇકોર્ટ સમક્ષ માગ કરવામાં આવી છે કે આ વિવાદાસ્પદ ટેન્ડર પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવામાં આવે અને તેને 'અનફેર લેબર પ્રેક્ટિસ' જાહેર કરવામાં આવે. આ ઉપરાંત, જે 516 જેટલા કર્મચારીઓને કોઈ પણ કારણ વગર કામ પર લેવામાં આવતા નથી, તેમને તાત્કાલિક ફરજ પર પરત લેવા અને ત્રીજી પાર્ટીના અધિકારો ઊભા ન કરવા માટે તંત્ર પર રોક લગાવવાની દાદ માંગવામાં આવી છે. 

આ પણ વાંચો: કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ, આ શહેરોમાં 14 મે સુધી હીટવેવની આગાહી: ગુજરાત બન્યું અગનભઠ્ઠી!

1,600ના બદલે ફક્ત 31ને જ કાયમી કર્યા

આ અરજી પ્રમાણે, અંદાજે 1,600 જેટલા કર્મચારીઓ કાયમી થવાને પાત્ર છે, પરંતુ તંત્રએ માત્ર 31 વ્યક્તિઓને જ કાયમી કર્યા છે. બીજી તરફ, હડતાળ બાદ મેયર અને અન્ય પદાધિકારીઓએ કર્મચારીઓને પરત લેવાની ખાતરી આપી હોવા છતાં 526થી વધુ કર્મચારીઓને હજુ પણ કામથી વંચિત રાખવામાં આવ્યા છે, જે સીધો કાયદાનો ઉલ્લંઘન હોવાનું જણાઈ રહ્યું છે.