અમદાવાદ: કૃષ્ણનગરમાં બેફામ AMTS બસે બળદગાડાને અડફેટે લીધું, ટોળાએ બસમાં તોડફોડ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMTS Bus Accident in Krushna Nagar, Ahmedabad: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણ નગરમાં વધુ એકવાર AMTS બસના ચાલકની બેદરકારી સામે આવી છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વૃદ્ધ અને અબોલ પશુને ઈજા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, બસ એટલી ઝડપે હતી કે બળદગાડા સાથેની ટક્કર ખૂબ જ ભયાનક હતી. આ અકસ્માતમાં બળદગાડું ચલાવી રહેલા વૃદ્ધને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ગાડા સાથે જોડાયેલા બળદને પણ ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળેલા સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો હતો અને AMTS બસમાં ભારે તોડફોડ કરી હતી. લોકોના રોષને જોતા બસ ચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. પરિસ્થિતિ વણસતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો.
CCTVમાં કેદ થઈ ઘટના
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બસ ચાલકની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો હતો. કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને બસચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તોડફોડ કરનારા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.








