Get The App

અષાઢે અમૃત વર્ષા : જિલ્લાના 10 તાલુકામાં ઝરમરથી દોઢ ઈંચ વરસાદ

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
અષાઢે અમૃત વર્ષા : જિલ્લાના 10 તાલુકામાં ઝરમરથી દોઢ ઈંચ વરસાદ 1 - image


વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર પાણી ભરાયા

સુરેન્દ્રનગર શહેર અને થાન તાલુકામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ, ચોટીલા, મુળી તાલુકામાં પણ અડધાથી એક ઈંચ વરસાદ ખાબક્યો

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૃ થયો હતો અને શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. આ સાથે જ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગુરૃવારે સતત બીજા દિવસે સવારે પણ વાદળછાયા વાતાવરણમાં છૂટા છવાયા સુરેન્દ્રનગર શહેર અને તાલુકા અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વરસાદ પડયો છે. બીજી તરફ  શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી ચાર-પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૃપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર સહિત વઢવાણ, જોરાવરનગર, રતનપરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેમાં વઢવાણ તાલુકામાં ગુરૃવારે બપોરના ૨-૦૦થી ૪-૦૦ માં ૩૫ મીમી (દોઢ ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ચોટીલા તાલુકામાં ૨૩ મીમી, મુળી તાલુકામાં ૧૩ મીમી અને ચુડા તાલુકામાં ૭ મીમી અને લીંબડી તાલકુામાં ૫ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બપોરે ૪-૦૦ થી ૬-૦૦ માં થાન તાલુકમાં ૩૨ મીમી (દોઢ ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્ય તાલુકામાં પણ ઝરમર વરસાદ ખાબક્યો હતો. જ્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તેમજ ખેડૂતોમાં પણ સારા વરસાદને લઈ આનંદની લાગણી જોવા મળી હતી.

વર્ધમાનનગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા

દુધરેજ રોડ પર વર્ધમાનનગરમાં અંદાજે ૧૦૦થી વધુ પરિવારો વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારમાં યોગ્ય ભુગર્ભ ગટરની કામગીરી તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે દર ચોમાસામાં સોસાયટીના રસ્તાઓ સહિત લોકોના ઘરોમા વરસાદી પાણી ઘુસી જતા રહિશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને ન છુટકે વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબુર બન્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલ જૈન ઉપાશ્રયના મુખ્ય દરવાજા પાસે પણ વરસાદી પાણી ભરાઈ રહેતા અહિં આવતા જૈન સાધુ-સાધ્વીજી સહિતનાઓને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ મામલે સ્થાનીક રહિશો સહિત મહિલાઓએ અનેક વખત મનપા સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી અને દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાય છે. સ્થાનિકો ભુગર્ભ ગટર તેમજ આ વિસ્તારમાં આવેલ નાળાની સફાઈ કરવા માંગ કરી છે.

આંબેડકર ચોક પાસે રેલવે અંડરપાસમાં પાણી ભરાયા

શહેરના આંબેડકર ચોક પાસે આવેલ રેલવે અંડરપાસમાં ભારે વરસાદને પગલે ફરી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને જીવના જોખમે અંડરપાસમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો જ્યારે બીજી બાજુ અંડરપાસમાં પાણી ભરાઈ રહેવાથી રિક્ષા સહિત અનેક વાહનો બંધ પડી જતા પાણીમાં જ રહેવાનો વારો આવ્યો હતો. દર ચોમાસામાં આવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોમાં મનપા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

પીજીવીસીએલની ઘોર બેદરકારી, વીજ પોલ પર શોક લાગતાગાયનું મોત

સુરેન્દ્રનગર શહેરમાં પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે આવી છે. શહેરમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદે વિરામ લીધા બાદ સાંજના સમયે કલેકટર કચેરી પાછળ કૃષ્ણનગર તરફ જતા રસ્તા પર આવેલા એક વીજ પોલને અડી જતા વીજશોક લાગતા એક ગાયનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રાહદારીઓ અને વાહન ચાલકોએ તંત્રને જાણ કરી હતી. આવી સ્થિતિમાં જો કોઈ જાનહાની કે દુર્ધટના થઈ હોત તો કોણ જવાબદાર ? સહિતની બાબતો અંગે ચર્ચાઓએ જોર પકડયું હતું તેમજ પીજીવીસીએલ તંત્ર દ્વારા ચોમાસાની સીઝનને ધ્યાને લઈ યોગ્ય રીતે મેઈન્ટેનન્સ સહિત વિજપોલમાં અર્થિંગ સહિતની કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.


Tags :