અમરેલી: ખેડૂત આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, હનીટ્રેપના કારણે ભર્યું પગલું, યુવતી સહિત 5 સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Farmer Suicide Case: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામમાં ખેડૂતની આત્મહત્યાના મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શરૂઆતમાં સામાન્ય આત્મહત્યા ગણાતો આ કેસ, પોલીસ તપાસમાં કથિત હનીટ્રેપ કાંડ સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. મૃતક ખેડૂતના પરિવારની ફરિયાદના આધારે પોલીસે એક યુવતી સહિત 5 લોકો સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
23 જૂને પોતાની વાડીમાંમાં ગળેફાંસો ખાધો હતો
લીખાળા ગામના ખેડૂત હિંમત સુહાગીયાએ 23 જૂને પોતાની વાડીમાં વૃક્ષની ડાળી સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ઘટના સમયે પોલીસે અકસ્માત મોતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ પરિવારજનોને આ આત્મહત્યા પાછળ કોઈ ષડયંત્ર હોવાની શંકા હતી.
પરિવારે કહ્યું હનીટ્રેપમાં ફસાયા હતા
તપાસ દરમિયાન મૃતકના પુત્ર પરેશભાઈએ પોલીસને જણાવ્યું કે, તેમના પિતા 'હિના' નામની એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને હનીટ્રેપમાં ફસાયા હતા. પરિવારના આક્ષેપ મુજબ, આ મહિલા અને તેના સાગરિતોએ ખેડૂત પાસે Rs 3,00,000 ની માંગણી કરી હતી. સતત મળતા માનસિક ત્રાસના કારણે તેમણે આ આત્મહત્યા કરી હોવાનો પરિવારે દાવો કર્યો છે. પીડિત પરિવારે સરકાર અને પોલીસ પાસે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આરોપીઓ સાથે સમાધાનનું નક્કી થયું હતું
પરિવારના જણાવ્યા અનુસાર, આરોપીઓ સાથે Rs 1,50,000માં સમાધાન નક્કી થયું હતું. જેમાંથી આશરે Rs 80,000 મૃતકે રાત્રે જ આરોપીઓને આપી દીધા હતા અને બાકીની રકમ સવારે આપવાની વાત થઈ હતી. જો કે, સતત માનસિક દબાણ અને હેરાનગતિના કારણે ખેડૂતે આ અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતકના પુત્રએ પોલીસને અપીલ કરી છે કે, અન્ય ભોળા ખેડૂતો આવા હનીટ્રેપનો ભોગ ન બને તે માટે કાયદાના કડક હાથે કામ લેવામાં આવે.
આ પણ વાંચો: 2 કલાક રોજ લોકોના સવાલો સાંભળો, તેનો 15 દિવસમાં જ નિકાલ કરો, ગુજરાતના નવા DGPનો આદેશ
પોલીસે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતા આત્મહત્યા પાછળ હનીટ્રેપનો એંગલ સ્પષ્ટ થયો છે. ત્યારબાદ, સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનમાં એક યુવતી સહિત 5 લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ તપાસમાં આગામી સમયમાં અન્ય મોટા ખુલાસા થઈ શકે છે.









