Gujarat

અમરેલી : 'પોતાની જ સરકારમાં ન્યાય ન મળ્યો...', લેટરકાંડના આરોપી સરપંચ સહિત ભાજપના કાર્યકરોએ આપ્યા રાજીનામા

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. જસવંતગઢના સરપંચ અને 25 વર્ષ જૂના પાયાના કાર્યકર અશોક માંગરોળીયા તેમજ યુવા કાર્યકર નિલેશ સાવલિયાએ પાર્ટીને ‘રામ-રામ’ કહી દીધા છે. આ રાજીનામા પાછળ 'અન્યાય' અને 'તંત્રની નિષ્ફળતા' જવાબદાર હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી : 'પોતાની જ સરકારમાં ન્યાય ન મળ્યો...', લેટરકાંડના આરોપી સરપંચ સહિત ભાજપના કાર્યકરોએ આપ્યા રાજીનામા

Amreli News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. જસવંતગઢના સરપંચ અને 25 વર્ષ જૂના પાયાના કાર્યકર અશોક માંગરોળીયા તેમજ યુવા કાર્યકર નિલેશ સાવલિયાએ પાર્ટીને ‘રામ-રામ’ કહી દીધા છે. આ રાજીનામા પાછળ 'અન્યાય' અને 'તંત્રની નિષ્ફળતા' જવાબદાર હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

શિસ્તબદ્ધ રીતે ખેસ-ટોપી પરત કર્યા

રાજીનામું આપવાની પદ્ધતિ પણ ચર્ચાનો વિષય બની છે. અશોક માંગરોળીયાએ શિસ્તબદ્ધ રીતે ભાજપની ટોપી અને ખેસ પહેરીને જિલ્લા ભાજપ મહામંત્રીને રૂબરૂ અર્પણ કર્યા હતા. 25 વર્ષ સુધી જે પક્ષ માટે લોહી-પરસેવો એક કર્યો, તે જ પક્ષને અલવિદા કહેતી વખતે તેમની આંખોમાં અન્યાયનો રોષ સ્પષ્ટ દેખાતો હતો.

"ન્યાય નથી મળતો": અશોક માંગરોળીયાના ગંભીર આક્ષેપ

જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા ‘લેટર કાંડ’માં આરોપી રહી ચૂક્યા છે. જોકે, તેમનું કહેવું છે કે, "પોલીસે આ કેસમાં સી-સમરી ભરી દીધી છે, તેમ છતાં મને યોગ્ય ન્યાય મળી રહ્યો નથી. એક કાર્યકર તરીકે મને સતત અન્યાય થતો હોવાની અનુભૂતિ થઈ રહી છે, જેને કારણે મેં પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે." પોતાની જ સરકાર સત્તામાં હોવા છતાં એક સરપંચ કક્ષાના કાર્યકરને ન્યાય માટે વલખાં મારવા પડે તે ભાજપની વહીવટી પકડ સામે સવાલો ઉભા કરે છે.

જિલ્લા ભાજપનો વળતો પ્રહાર: 'વ્યક્તિગત મહત્વાકાંક્ષા'

બીજી તરફ જિલ્લા ભાજપ સંગઠને આ રાજીનામાને હળવાશથી લેતા વળતો પ્રહાર કર્યો છે. સ્થાનિક ભાજપના મતે, અશોક માંગરોળીયાને 29 ડિસેમ્બર 2024ના રોજ જ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ કે પદ મેળવવાની વ્યક્તિગત ઈચ્છાઓ પૂર્ણ ન થતા આ ડ્રામા કરવામાં આવી રહ્યો છે. બંધારણીય રીતે કોઈ પણ વ્યક્તિ બીજી પાર્ટીમાં જવા મુક્ત છે, અને પક્ષે તેમને 'શુભેચ્છા' પણ પાઠવી દીધી છે.

આ પણ વાંચો: ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર

ચૂંટણી ટાણે ભાજપ માટે ચિંતાનો વિષય?

અમરેલીમાં ભાજપના પાયાના કાર્યકરોનું આ રીતે છૂટા પડવું એ ચૂંટણી પહેલા નુકસાનકારક સાબિત થઈ શકે છે. એક તરફ 'અન્યાય'ની લાગણી અને બીજી તરફ 'શિસ્તભંગ'ના આરોપો વચ્ચે હવે આ કાર્યકરો આગામી સમયમાં કયો પક્ષ પકડે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.