અમરેલી: બાબરાના કરિયાણા ગામે ફી સહાયમાં શાળાની ગોલમાલનો આરોપ, 300 જેટલા રત્નકલાકારોનો હલ્લાબોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : એક તરફ મંદીના ઓથાર હેઠળ દબાયેલા રત્નકલાકારો પોતાનું ગુજરાન ચલાવવા દિવસ રાત એક કરી રહ્યા છે. બીજી તરફ આ રત્નકલાકારોના હક્ક રૂપિયા પર શાળા તરાપ મારીને બેઠી છે. ઘટના છે અમરેલીના બાબરા જિલ્લાના કરિયાણા ગામની જ્યાં રત્નકલાકારોના બાળકોને આપવામાં આવેલી સહાયના રૂપિયા ચાણક્ય શાળા ઓળવી ગયાના આક્ષેપ છે. શાળાના કૌભાંડને ઉઘાડું પાડવા આજે 300 જેટલા રત્નકલાકારોએ હલ્લાબૉલ કર્યો હતો
કેવી રીતે શાળાએ રૂપિયા પચાવ્યાં?
અમરેલી જિલ્લાના ડાયમંડ એસોસિએશન પ્રમુખ લલિત ઠુમ્મરના દાવા પ્રમાણે કરિયાણા ગામની અંદર 1200 જેટલા રત્નકલાકારો કામ કરે છે. 400 બાળકોની ફી 6 હજારથી માંડીને 13 હજાર સુધી સરકાર દ્વારા શાળાના ખાતામાં જમા કરવામાં આવી હતી. પણ વર્ષની 6 હજાર ફી છે જેમાંથી ઘણા વાલીઓએ એક સત્રની 3 હજાર ફી જમા કરી દીધી છે. સરકાર દ્વારા 12800 જેટલી રકમની સહાય કરવામાં આવી છે તો જે બાકી વધતાં રૂપિયા શાળા પાસે છે. ફીની પહોંચ તરીકે ફક્ત નામ નંબર કોઈ સિક્કા વગરની સાદા કાગળ પર લખેલી ફી શાળા દ્વારા રત્નકલાકાર વાલીઓને આપી દેવામાં આવી છે.
'ફી સિવાયના વધતાં રૂપિયા પરત કરે શાળા'
રોષે ભરાયેલા રત્નકલાકારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કાળુભાઇ નામના રત્ન કલાકારે કહ્યું કે અમારા છોકરાના શિક્ષણ માટે સરકાર તરફથી સહાય આવી છે પણ રૂપિયા પૂરતા મળતા નથી, છોકરાના પૈસા શાળા દ્વારા ખવાઇ જાય છે. અમારી માંગ છે કે ફી સિવાયના વધતાં રૂપિયા તે જે રત્નકલાકારને પરત કરવામાં આવે અથવા તો આગળના વર્ષની ફી તરીકે જમા લેવામાં આવે.
![]() |
'FRC મુજબ ફી લીધી છે': ચાણક્ય સ્કૂલના સંચાલક
વિરોધ બાદ ચાણક્ય સ્કૂલ કરિયાણાના સંચાલક વિપુલ ગડમલીયાએ ગોળ ગોળ જવાબ આપતા કહ્યું કે સમજણફેરના કારણે આ વિવાદ ઊભો થયો છે. કોઈ વિધ્ન સંતોષીએ રત્નકલાકાર વાલીઓને કીધું હોય અને આવું થયું હોય તેવું મારુ માનવું છે. FRC દ્વારા અમારી શાળાની ફી નક્કી કરવામાં આવી છે એ મુજબ જ ફી લીધી છે અને પહોંચ પણ એ પ્રમાણે જ આપી છે. સત્રની ફી 6 હજાર હોય છે બે સત્રની ધોરણ 9 પ્રમાણે 12800 ફી છે જે અમે લીધી છે.

ફી ઉઘરાવી છે તો કેમ પાક્કી પાવતી આપી નથી?
FRCનો હવાલો આપી શાળાના સંચાલક તો છટકી ગયા પણ સવાલ એ છે કે શાળાએ જો નીતિ નિયમ મુજબ જ ફી ઉઘરાવી છે તો કેમ પાક્કી પાવતી આપવામાં આવી નથી. ઘણા રત્નકલાકાર કહી રહ્યા છે કે તેમણે એક સત્રની ફી ભરી દીધી છે તો શા કારણે વધઘટની રકમ બાદ કરી શાળા રૂપિયા પરત કરતી નથી. સંચાલકના જવાબ પ્રમાણે દાળમાં કઇંક કાળું હોય તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે.










