અમરેલી જિલ્લા માટે કાળમુખો ગુરુવાર! અલગ-અલગ 3 ઘટનામાં 3 લોકોએ ગુમાવ્યો જીવ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: અમરેલી જિલ્લા માટે આજે ગુરુવાર ગોઝારો સાબિત થયો છે. અકસ્માત અને ડૂબવાની કુલ ત્રણ અલગ-અલગ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. જેમાં ઘારીમાં ખોડિયાર ડેમ નજીક ઊંડા પાણીમાં ડૂબતાં તેમજ સાવરકુંડલા અમૃત સરોવરમાં ન્હાવા પડેલા આશાસ્પદ યુવકે જીવ ખોયો છે તો બીજી તરફ જાફરાબાદ નજીક બે મોટરકાર અને એક બાઈક વચ્ચે ભયંકર ટક્કર થતાં બાઈક ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત થયું છે. આ ત્રણેય ઘટનાથી અમેરલી પંથકમાં સોંપો પડી ગયો છે.
બોટાદના યુવકનું ધારીમાં મોત
અમરેલી ધારી પંથકમાં આવેલા પ્રખ્યાત ખોડિયાર ડેમ નજીકના ઊંડા ઘૂનામાં ન્હાવા પડેલા હરપાલ શિવકુભાઈ ખાચર નામના 28 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બોટાદથી દર્શનાર્થે આવેલો આ યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક તરવૈયા દ્વારા તેનો મૃતદેહ બહાર કઢાયો હતો. ધારી પોલીસે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
સાવરકુંડલામાં પુત્રના મોત બાદ પરિવારનો રોષ
બીજી તરફ સાવરકુંડલા બાયપાસ પર સ્થિત અમૃત સરોવરમાં બપોરે બાર વાગ્યાની આસપાસ ન્હાવા ગયેલો 18 વર્ષનો અશ્વિન કનુભાઈ કારડીયા ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. બૂમાબૂમ થતાં જ સ્થાનિક લોકો અને હોસ્પિટલની ટીમ દોડી આવી હતી અને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ આકસ્મિક ઘટનાથી મૃતકના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ કરુણાંતિકા બાદ મૃતક અશ્વિનના પિતા કનુભાઈએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. પરિવારનો આરોપ છે કે અમૃત સરોવર ખાતે સુરક્ષા ગાર્ડ કે સીસીટીવી કેમેરા જેવી કોઈ વ્યવસ્થા નથી, જેના લીધે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
જ્યારે ત્રીજી ઘટનામાં જાફરાબાદ નજીક સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર હેમાળ ગામ પાસે બે મોટરકાર અને એક બાઈક વચ્ચે કાળમુખો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં મોટરસાયકલ સવાર 77 વર્ષીય વૃદ્ધ નાગજીભાઈ વલ્લભભાઈ સાવલિયા (રહે. ચોત્રા)નું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હાઈવે પર ચક્કાજામની સ્થિતિ વચ્ચે જાફરાબાદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









