'ઈન હવાઓ કા ક્યા જો બેવજહ મેરે ખિલાફ...', ભાજપ સાંસદના જાહેરમાં વિરોધીઓને ટોણા
Amreli MP Bharat Sutariya Statement: સૌરાષ્ટ્રની લોકસભાની તમામ 7 બેઠકો પર પક્ષના બુથ મેનેજમેન્ટને કારણે ભાજપના ઉમેદવારો જીત્યા છે. પરંતુ ચૂંટણી ટાણે ઉમેદવારોની પસંદગી બાદ પક્ષમાં આંતરિક વિરોધ છેક મતદાન સુધી યથાવત્ રહ્યો હતો. હવે જીતેલા ઉમેદવારોના ઠેર ઠેર અભિવાદન સમારોહ શરૂ થયા છે. તેમાં ઉત્સાહમાં આવીને સાંસદો પક્ષના જ વિરોધી નેતાઓને મેણા-ટોણા મારીને શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. ત્યારે લાઠીમાં યોજાયેલા સત્કાર કાર્યક્રમમાં અમરેલીથી ભાજપના સાંસદ ભરત સુતરિયા આ વિરોધીઓ ઉપર પ્રહાર કર્યા હતા.
અમરેલી સાંસદે વિરોધીઓને જાહેરમાં ટોણો માર્યો
લાઠીમાં યોજાયેલા સત્કાર કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ અલગ અંદાજમાં જ જોવા મળ્યા. તેમણે હિન્દીમાં ભાષણ આપતા કહ્યું કે, ‘મારે દિલ્હી જવાનું છે અને ત્યાં હિન્દી આવડવું જરૂરી છે. ગુજરાતી ભાષા ત્યાં નથી બોલાતી.' ત્યાર પછી તેમણે જાહેરમાં વિરોધીઓને ટોણો મારતા કહ્યું કે, ‘મુજે કિસી સે ગીલા શિકવા નહીં હૈ, ઈન હવાઓ કા ક્યાં, બેવજહ મેરે ખિલાફ ચલતી જ રહી હૈ.' ઉલ્લેખનીય છે કે, અગાઉ ભાજપના દિગ્ગજ નેતા ગણાતા નારણ કાછડિયાએ પક્ષના જ કાર્યક્રમમાં અમરેલી બેઠક અંગે બળાપો વ્યક્ત કર્યો હતો. તેમણે ભરત સુતરિયાનું નામ લીધા વિના કહ્યું હતું કે, 'જે સરખું થેન્ક યુ બોલી નથી શક્તા, પાર્ટીએ તેમને ટિકિટ આપી દીધી છે.'
ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા કોણ છે?
લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક સૌરાષ્ટ્રના રાજકારણનું એપિસેન્ટર બન્યું હતું. ભરત સુતરિયા પ્રત્યે અસંતોષની લાગણીઓ વચ્ચે તેમણે 32,1068 મત સાથે જીત મેળવી હતી. અમરેલી બેઠક પર લેઉવા પાટીદાર સમાજની બહુમતી છે. ત્યારે આ લોકસભા બેઠક પર ભાજપે ભરત સુતરિયા અને અને કોંગ્રેસે જેની બેન ઠુમ્મરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જે બંને લેઉવા પાટીદાર નેતા છે.
ભરત સુતરિયા અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા. તેઓ લેઉઆ પાટીદાર સમાજના અને લાઠીના બારૈયા ગામના છે. તે વ્યવસાયે ખેડૂત છે અને ધોરણ 10 પાસ છે. તેઓ. તે વર્ષ 2009-2011 દરમિયાન પાર્ટીના તાલુકા જનરલ સેક્રેટરી પદે રહ્યા હતા.તે વર્ષ 2010-2015 દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ હતા. ભરત સુતરિયા વર્ષ 2019 બાદ નગરપાલિકા પ્રભારી હતા.