અમરેલી નજીક સિંહના મોત માટે જવાબદાર બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત
Amreli News: અમરેલી ગીરગઢડા તાલુકાના મહોબતપરા ગામ નજીક રાવલ નદીમાંથી 23 ઓગસ્ટ 2025ના રોજ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ વન વિભાગે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓમાં (1) મુકેશ બળદાણીયા (રહે. નગડીયા) અને (2) કમલેશ કલશરિયાની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું કે 22 ઓગસ્ટ 2025ની રાત્રે નગડિયા ગામની સીમમાં આવેલી પોતાની વાડીમાં મગફળી, કપાસ અને તુવેરના પાકને રક્ષણ આપવા માટે તાર ફેન્સિંગમાં વીજ પ્રવાહ મૂક્યો હતો. તે જ વીજ પ્રવાહના સંપર્કમાં આવતા સિંહનું મોત નીપજ્યું હતું.
સિંહનું મોત થયા બાદ આરોપીઓએ તેના મૃતદેહને ટ્રેક્ટરના પાછળના ભાગમાં આવેલા સુપડામાં ભરીને મહોબતપરા ગામ નજીક રાવલ નદીના પુલ પરથી ફેંકી દીધો હતો.
આરોપીઓને ગીરગઢડા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ મંગળવારે તેમને ફરીથી કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરીને જૂનાગઢ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.