Savarkundala News : અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરોના વધતા વસવાટ સાથે હત્યા, ચોરી અને લૂંટ જેવી ગંભીર ગુનાખોરીની ઘટનાઓ પણ વધી રહી છે, જેમાં ખેત મજૂરો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે સાવરકુંડલા તાલુકાના જીરા ગામના શિક્ષિત મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાએ પોલીસના સહયોગથી પરપ્રાંતીય મજૂરોના પરિવાર સાથેના રજિસ્ટ્રેશનની નવતર પહેલ કરીને ગુનાખોરી અટકાવવા માટે એક ઉમદા પગલું ભર્યું છે.
જીરા ગામમાં પરપ્રાંતીય મજૂરોનો મોટો વસવાટ
લગભગ 8 હજારની વસ્તી ધરાવતા જીરા ગામમાં હાલ માત્ર 1200 જેટલા જ મૂળ વ્યક્તિઓ વસવાટ કરે છે, જેમાં મોટે ભાગે વયોવૃદ્ધોનો સમાવેશ થાય છે. ગામના યુવાનો મોટાભાગે મહાનગરોમાં સ્થળાંતર કરી ગયા છે. ગામમાં 1400 જેટલા ખેડૂત ખાતેદારો હોવાથી ખેતીનું કામ મુખ્યત્વે પરપ્રાંતીય મજૂરો પર નિર્ભર છે, જેના કારણે 1500 જેટલા પરપ્રાંતીય મજૂરો જીરામાં વસવાટ કરે છે.

વૃદ્ધોની સુરક્ષા માટે સરપંચનો વિચાર
જિલ્લાના અનેક ગામોમાં વૃદ્ધોને નિશાન બનાવીને ચોરી, લૂંટ અને હત્યાની ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે જીરા ગામના વૃદ્ધોની ચિંતાને ધ્યાનમાં રાખીને મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાને આ ગુનાખોરી અટકાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે ગામમાં વસતા તમામ 1500 જેટલા પરપ્રાંતીય ખેતમજૂરોના આધારકાર્ડ અને ફોટો સાથેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી, જે અંતર્ગત લગભગ 800 જેટલા રજિસ્ટ્રેશન પૂર્ણ થયા છે.
એસ.પી. મહિલા સરપંચની પહેલને વધાવી
મહિલા સરપંચની આ નવતર પહેલને અમરેલી એસ.પી. સંજય ખરાતે આવકારી હતી. તેમણે જણાવ્યું કે રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી ગુનાખોરી કરતા તત્ત્વોમાં પોલીસનો ડર ઊભો થશે, અને જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો પોલીસને નામ-સરનામા અને ફોટો સાથેની માહિતી હોવાથી ગુનાનો ઉકેલ લાવવામાં સરળતા રહેશે.

જીરા ગામના ચોકમાં તમામ પરપ્રાંતીય મજૂરોને બોલાવીને પોલીસ અધિકારીઓએ ગુનાખોરી અટકાવવા માટેનો સંદેશ આપ્યો હતો. એસ.પી. સંજય ખરાતે અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો વધુ વસવાટ હોવાથી ખેત મજૂરોના બાળકોની કાળજી રાખવા વિશેષ સલાહ પણ આપી હતી.
સરપંચ દક્ષાબેન ચોડવાડીયાએ આ પહેલને ગુનાખોરીથી ગામને મુક્ત રાખવા માટે પોલીસના સહયોગથી લીધેલું પગલું ગણાવ્યું હતું, જે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે. આ તકે પોલીસે મહિલા સરપંચનું સન્માન કર્યું હતું. એસપી સંજય ખરાતે પરપ્રાંતીય મજૂરોને સાયબર ક્રાઇમ અને વન્યપ્રાણીઓ અંગે વિશેષ સમજણ આપી હતી.

અન્ય ગામો માટે પ્રેરણારૂપ
સ્થાનિક રહીશ ચીમનભાઈ શેખડાએ મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાની આ પહેલને અમરેલી જિલ્લામાં ગુનાખોરી અટકાવવાની દિશામાં પ્રથમ અને અનોખી ગણાવી હતી. તેમણે આ પ્રક્રિયા અન્ય ગામડાઓમાં પણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અમરેલી એસ.પી. સંજય ખરાતે જણાવ્યું હતું કે, ગ્રામીણ ગામડાઓમાં ગુનાખોરી અટકાવવાના શુભ હેતુને સાર્થક કરતા મહિલા સરપંચની પરપ્રાંતીય મજૂરોના રજિસ્ટ્રેશનની આ પહેલ ગુનાખોરીનો ગ્રાફ અટકાવવાનો એક નવતર પ્રયાસ છે. જો અન્ય ગામડાઓ પણ આને અપનાવશે તો ગોકુળિયા ગામડાઓનું નિર્માણ થશે અને વૃદ્ધો સુખ-શાંતિ તથા સલામતીનો અહેસાસ કરી શકશે. તેમણે દાહોદ, પંચમહાલ અને મધ્યપ્રદેશના ખેત મજૂરોને શાંતિથી રહેવાની સલાહ આપી હતી.


