Amreli News: અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકામાં ભાજપના શાસનમાં જ મોટો આંતરિક ભડકો થયો છે. પાલિકાના 24માંથી 24 સભ્યો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના હોવા છતાં, સત્તાધારી પક્ષના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે બહુમતી સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતાં રાજકારણ ગરમાયું છે.
ગેરવહીવટ અને સભ્યોની અવગણનાનો આરોપ
મળતી માહિતી અનુસાર, ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે આ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે. દરખાસ્તમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પર સભ્યોની અવગણના, અવિશ્વાસ, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. નગરપાલિકાના કુલ 24 સભ્યો પૈકી 20 સભ્યોએ સહી કરીને આ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે સ્પષ્ટપણે સત્તાધારી જૂથ સામે બહુમતી સભ્યોની નારાજગી દર્શાવે છે.

સાત મહિનાથી એક પણ સામાન્ય સભા નહીં
અવિશ્વાસની દરખાસ્ત પાછળનું એક મુખ્ય કારણ પ્રમુખ દ્વારા સામાન્ય સભાઓનું આયોજન ન કરવું પણ છે. સભ્યોની નારાજગી પ્રમાણે, છેલ્લા સાત મહિનામાં માત્ર એકમાત્ર બજેટ બેઠક બોલાવ્યા બાદ આજ દિન સુધી એકપણ સામાન્ય સભા બેઠક મળી નથી. આનાથી સદસ્યો વિકાસના કાર્યો અને વહીવટી નિર્ણયોમાં ભાગ લેવાથી વંચિત રહ્યા છે.
ચીફ ઓફિસરને ચીમકી
દરખાસ્ત રજૂ કરનાર વોર્ડ નંબર 3ના સભ્ય મુક્તાબેન પરમાર છે. રજૂઆત સાથે ચીફ ઓફિસરને ચીમકી આપવામાં આવી છે કે, 15 દિવસમાં સામાન્ય સભા બોલાવવામાં આવે, નહીંતર સક્ષમ અધિકારી સમક્ષ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં સર્જાયેલા આ રાજકીય ભૂકંપના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશીઓ જોખમમાં મુકાઈ ગઈ છે. આગામી દિવસોમાં ભાજપનું મોવડીમંડળ આ આંતરિક વિખવાદને કેવી રીતે થાળે પાડે છે, તેના પર સૌની નજર ટકેલી છે.


