Gujarat

અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ

By GS TEAM
10 May 20262 mins read
TukuTouch Logo
અમરેલીના બાબરાના કરીયાણા ગામની સીમમાં એક 25 વર્ષીય યુવાનની તેના જ સાસરીયા પક્ષના સભ્યો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો સુરાપુરાની ખાંભીઓ ઉખેડી નાખવાની શંકા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યો હતો. હત્યાના બનાવ મામલે પોલીસે 10 શખસોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ

Amreli News: અમરેલીના બાબરાના કરીયાણા ગામની સીમમાં એક 25 વર્ષીય યુવાનની તેના જ સાસરીયા પક્ષના સભ્યો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો સુરાપુરાની ખાંભીઓ ઉખેડી નાખવાની શંકા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યો હતો. હત્યાના બનાવ મામલે પોલીસે 10 શખસોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાબરામાં યુવકની હત્યા કેસમાં 10ની ધરપકડ

અમરેલીના બાબરાના કરીયાણા જીવાપર રોડ પર ભરત ઉગરેજીયા નામના યુવકની હત્યાના ગુનામાં પોલીસે 10 શખસોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સુરાપુરાની ખાંભી કાઢી નાખવા બાબતે સમાધાન કરવા બોલાવીને ક્રૂર હત્યા નીપજાવામાં આવી હતી. સમગ્ર મામલે આજે(10 મે) બાબરા પોલીસે 10 આરોપીને ઝડપી પાડી ઘટનાસ્થળે લઈને પહોંચી હતી.

પોલીસ ફરિયાદ મુજબ, મૂળ વિંછીયા તાલુકાના ફૂલઝર ગામનો વતની અને હાલ મોરબી મુકામે રહી મજૂરી કામ કરતો ભરત વલ્લભભાઈ ઉગરેજીયા (ઉં.વ.25) 8 મેના રોજ બપોરે મોરબીથી કોર્ટનું કામ પતાવી પોતાની કાર લઈને બાબરા તરફ જવા નીકળ્યો હતો. આ દરમિયાન કરીયાણા-જીવાપર રોડ પર આવેલા મામાદેવના મંદિર પાસે કેટલાક લોકોએ કાર આંતરી હતી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને ભરતની હત્યા કરી હતી. જેમાં મૃતક યુવાનના સાસરીયા પક્ષની જ સંડોવણી ખુલી છે. 

શું હતી સમગ્ર ઘટના?

મૃતકની પત્ની આશાબહેને નોંધાવેલી ફરિયાદ મુજબ, બાબરાના સુકવળા ગામે તેમના પિયર પક્ષ જીલીયા પરિવારના સુરાપુરાની ખાંભીઓ આવેલી છે. ઘટનાના ચાર દિવસ પહેલા આ ખાંભીઓ કોઈએ ઉખેડી નાખી હતી. જેથી પરિણીતાના પિતરાઈ ભાઈઓ અને પરિવારજનોને શંકા હતી કે આ કૃત્ય પાછળ તેમના જમાઈ ભરતનો હાથ છે. આ બાબતે અગાઉ પણ ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. બાદમાં ખાંભી બાબતે સમાધાન કરવું છે તેમ કહી બાબરા બોલાવ્યો હતો. જો કે, આ માત્ર એક જાળ હતી. પૂર્વનિયોજિત કાવતરા મુજબ, જીવલેણ હથિયારો સાથે હુમલો કરી જમાઈનું ઢીમ ઢાળી દીધું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

પોલીસે આ મામલે સાસરીયા પક્ષના કીરણ મનુભાઈ જીલીયા, જગદિશ મુકેશ જીલીયા, મહેશ ભનુભાઈ જીલીયા, પરેશ મુકેશભાઈ જીલીયા, રોહીત ધીરૂભાઈ જીલીયા, મયુર ભનુભાઈ જીલીયા તથા અન્ય 3 અજાણ્યા સહિત કુલ 10 સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીમાં મુખ્યત્વે સાસરીયા પક્ષના પિતરાઈ ભાઈઓ અને ભાણેજનો સમાવેશ થાય છે.