Gujarat

અમીરગઢ: ટ્રેન નીચે આવી જતા યુવક-યુવતીના મોત, આત્મહત્યા છે કે હત્યા? એ દિશામાં તપાસ

By GS TEAM
16 Dec 20252 mins read
TukuTouch Logo
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઇકબાલગઢ નજીક આવેલા ગંગાસાગર પાટીયા પાસે રેલવે ટ્રેક પર ટ્રેન નીચે કપાઈ જવાથી એક અજાણ્યા યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમીરગઢ: ટ્રેન નીચે આવી જતા યુવક-યુવતીના મોત, આત્મહત્યા છે કે હત્યા? એ દિશામાં તપાસ

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઇકબાલગઢ નજીક આવેલા ગંગાસાગર પાટીયા પાસે રેલવે ટ્રેક પર ટ્રેન નીચે કપાઈ જવાથી એક અજાણ્યા યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇકબાલગઢ પાસેના ગંગાસાગર પાટીયા નજીકથી પસાર થતી ટ્રેન નીચે અજાણ્યા યુવક અને યુવતી આવી જતાં બંનેના શરીરના ટુકડા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે અમીરગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યા હતા.

પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવા માટે તેમના કપડાં અને સામાનની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, મૃતકો પાસેથી કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર કે દસ્તાવેજ મળી આવ્યા ન હોવાથી તેઓ કોણ છે અને ક્યાંના રહેવાસી છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ દરમિયાન યુવકના પેન્ટના ખિસ્સામાંથી 100 અને 500 રૂપિયાની ફાટેલી હાલતમાં ચલણી નોટો મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી છે.

અમીરગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતકોના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે. આસપાસના ગામોમાં અને પોલીસ સ્ટેશનોમાં મેસેજ મોકલીને મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.