અમદાવાદના કર્ણાવતી ક્લબ સામેની દુકાનો આગળ વાહનોની ભીડથી રાહદારીને મુશ્કેલી, AMCએ 12 દુકાનો કરી સીલ
Ahmedabad News : ગુજરાતના અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર મોટી સંખ્યામાં વાહનોની અવર-જવર રહેતી હોય છે. હાઈવેના મોટાભાગના ચાર રસ્તા પર ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને કર્ણાવતી ક્લબ પાસે આ સમસ્યા ગંભીર છે.કારણ કે આ ચાર રસ્તા પાસે કર્ણાવતી ક્લબ સામે આવેલા પ્લોટ પરની દુકાન-કોમર્શીયલ શેડના એકમોમાં અનેક ખાણીપીણીની દુકાનો આવેલી છે, ગ્રાહકો ત્યાં આડેધડ વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રોજ સર્જાય છે. અને એમાં પણ પીક અવરમાં લોકોની હાલત ખરાબ થઈ જાય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ શુક્રવારે (25 એપ્રિલ, 2025) આ ચાર રસ્તા પરની 12 જેટલી દુકાનોને સીલ કરી દીધી છે.
દુકાનદારો AMCના આદેશને ઘોળીને પી ગયા
મહત્વનું છે કે ટ્રાફિક જામની સમસ્યાના કારણે અગાઉ પણ આ દુકાનોને સીલ મારવામાં આવી હતી, પરંતુ સમય જતા દુકાનદારો AMCના આદેશને ઘોળીને પી ગયા છે. AMCએ ફટકારેલી નોટિસમાં દુકાન માલિકોને કહેવામાં આવ્યું છે કે અગાઉ પણ તેમને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી કે, દુકાનદારો ગ્રાહકોનું પાર્કિંગ ખુલ્લા પ્લોટમાં કરાવે, ત્યાં સિક્યોરિટી ગાર્ડ પણ રાખે અને દુકાનો આગળ કોઈપણ વાહનનું પાર્કિંગ નહીં કરવા દે તેવી બાંહેધરી આપી હતી, તેમ છતા તેનું પાલન થતું નથી તેથી આ સીલની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ્રો, રવિવારથી શરુ થશે આ સેવા
કર્ણાવતી ક્લબની સામે દુકાનો સીલ કરાઈ
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના કર્ણાવતી ક્લબની સામે આવેલી દુકાનો અને કોમર્શીયલ શેડના એકમોમાં ચાલતી ધંધાકીય પ્રવૃત્તિથી ત્યાં આવતા લોકો પાર્કિંગ જાહેર રસ્તા પર કરતાં હોવાથી અવર-જવર કરનારા લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે.જેને લઈને AMC દ્વારા 12 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.
AMCએ આ 12 દુકાનો કરી સીલ
AMC દ્વારા બાદશાહ બોમ્બે વડાપાઉં, ગાયત્રી ટી સ્ટોલ, કર્ણાવતી સ્નેક્સ, રજવાડી ટી સ્ટોલ, મયુર ઘુઘરા, શ્રી વિનાયક પરોઠા હાઉસ, ગજાનંદ પૌંઆ હાઉસ સહિતની દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે.