અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
Bhadarvi Poonam Mela 2025: અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરૂઆતથી જ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. મહામેળાના બીજા દિવસે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ પહોંચીને જગત જનની જગદંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. ત્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહીત ઉાર ગુજરાતના તમામ માર્ગો ઉપર પગપાળા સંઘો પદયાત્રીઓની ભારે ભીડથી અંબાજીના માર્ગો ઉપર કીડીયારૂ ઉભરાયુ હોય તેવું વાતાવરણ સર્જાવા પામ્યું છે. બે દિવસમાં 7.29 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી.
શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા અને આરાસુરની ગિરીકંદરાઓની વચ્ચે ‘મા’ અંબાના પવિત્ર ધામમાં ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓથી અલૌકિક માહોલ ઉભો થયો છે. રાજયભરમાંથી નીકળેલા પગપાળા સંઘો અને માઈભક્ત પદયાત્રીઓની સેંકડો કિલોમીટરની પદયાત્રા વિશાળ માનવ સાંકળ રચી રહી છે. માનવ સાંકળને લીધે ટ્રાફિકજામ જેવા દ્રશ્યો સર્જાવા છતાં માર્ગો ઉપર હર્ષ અને ઉમંગ છે. પ્રત્યેક માઇભક્તોના ચહેરા પર અદમ્ય ઉત્સાહ ભક્તિ ભાવ છલકાઈ રહ્યો છે.
રાત્રિના સમયમાં સુમસામ બની જતા માર્ગો પણ ‘જય જય અંબે’ના જયઘોષથી જીવંત બન્યા છે. અંબાજી યાત્રાધામમાં બીજા દિવસે 3.58 લાખ ભક્તોએ ‘મા’ના દર્શન કર્યા છે. તેમજ બે દિવસમાં દિવસમાં દરમિયાન 7.29 લાખ ભક્તોની સંખ્યા નોંધાઈ હતી. તેમજ ભોજનમાં 49,568, ધજારોહણમાં 270, મોહનથાળના પેકેટ 2,77,750, ચીકી પેકેટ 3,712, ઉડનખટોલા યાત્રિક 8,410 જેટલા આંકડો નોંધાયો છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહિવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળા દરમિયાન માઈભક્તોને કોઈ તકલીફ ન પડે તેનું ઘ્યાન રાખીને વિભિન્ન સુવિધાઓ કરવામાં આવી છે. વિશેષ કરીને આ વખતે મંદિર, ગબ્બર તેમજ અંબાજીના જાહેર રસ્તાઓ પર સ્વચ્છતા જળવાયેલી રહે તેની ઉપર ભાર મુકવામાં આવ્યો છે.