અંબાજીના કોટેશ્વર મહાદેવ મંદિરમાં 18 કિલો ચાંદીના થાળુંની ચોરી, ભક્તોમાં રોષ
Ambaji Koteshwar Temple : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલા પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા શિવભક્તોમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રિ (રવિવારે) ના સમયે તસ્કરોએ મંદિરમાંથી 18 કિલો વજનના ચાંદીના થાળુંની ચોરી કરી હતી, જેની કિંમત આશરે રૂ. 21 લાખ આંકવામાં આવી રહી છે.
આ ચોરીની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ચાંદીનું થાળું આશરે 15 દિવસ પહેલાં જ રાજસ્થાનના જોધપુરના એક ભક્તે શિવલિંગ પર અર્પણ કર્યો હતો. ચોરી થયા બાદ તાત્કાલિક મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવશે.
ભક્તો અને સ્થાનિકોની માગ છે કે ચોરી કરનાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડીને ચાંદીનું થાળું પાછું મેળવવામાં આવે. આ ઘટનાને પગલે કોટેશ્વર મહાદેવ મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.