Get The App

અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે 1 - image

Bhadarvi Poonam 2025: જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળાની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ભાદરવી પૂનમ મહામેળો 2025નો પ્રારંભ 1 સપ્ટેમ્બરથી થશે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખાસ મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે 30 લાખથી વધુ ભક્તોને પ્રસાદ વિતરણ કરવાનો અંદાજ છે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળામાં આવતા માઇભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન સુરક્ષા જાળવવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મેળાના સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવશે.


750 કારીગરો 2.50 કિલો પ્રસાદ બનાવશે

આ વર્ષે અંદાજે 2.50 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. આ માટે 90,000 કિલો કરકરો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ ઘી અને 180 કિલો એલચીનો ઉપયોગ થશે. આ પ્રસાદને 30 લાખથી વધુ પેકેટ્સમાં વિતરણ કરવાનું આયોજન છે. આ ભગીરથ કાર્ય માટે 750 થી વધુ કારીગરો રાત-દિવસ કાર્યરત રહેશે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે દરેક ભક્ત સુધી સરળતાથી અને સ્વચ્છતાથી પ્રસાદ પહોંચાડવામાં આવશે. મેળા દરમિયાન ભક્તોની સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

માઇભક્તો માટે સુવિધા

મંદિર ટ્રસ્ટ દ્વારા માઇભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય પ્રસાદ વિતરણ વ્યવસ્થા સાથે દર્શન, રહેવા અને અન્ય સુવિધાઓ પણ સુચારુ રીતે ચાલે તે માટે તંત્ર અને ટ્રસ્ટ સંયુક્તપણે કામ કરી રહ્યા છે. આ વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં આવશે તેવો અંદાજ છે.