- પ્લોટ ખરીદનાર વૃધ્ધ દંપતીએ રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરાવ્યું ન હતું, આ તકનો લાભ લઇ મૂળ માલિકે બે પ્લોટ અન્યને વેચાણ દસ્તાવેજ કરી આપ્યા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
સુરતના ગવિયર ગામના બે પ્લોટનો વર્ષ 1994 માં વેચાણ કર્યા હોવા છતા અન્યને વેચાણ દસ્તાવેજ કરી આપનાર પ્લોટના મૂળ માલિક વિરૂધ્ધ ડુમ્મસ પોલીસમાં ઠગાઇની ફરીયાદ નોંધાય છે.
અડાજણના આદેશ્વર હાઇટ્સમાં રહેતા વૃધ્ધ જયેશ પાનાચંદ જગીવાલા (ઉ.વ. 68) એ વર્ષ 1994 માં ગવિયર ગામના સર્વે નં. 180/1 ના પ્લોટ નં. 103 અને 104 ગણેશ બાલુ મહેતા (રહે. 203, વૈભવ એપાર્ટમેન્ટ, ઉમરીગર સ્કૂલ પાસે, ઉમરા ગામ) પાસેથી રૂ. 30 હજારમાં ખરીદયા હતા. ગણેશ મહેતાએ પ્લોટનો સાટાખત અને પાવર લખી આપ્યો હતો અને વેચાણ દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. તેમ છતા આ બંને પ્લોટના મૂળ માલિક એવા સુરેશ લાલભાઇ જરીવાલા (રહે. ઘર નં. 8/1911, સંઘાડીયાવાડ, ગોપીપુરા) એ લક્ષ્મી કોર્પોરેશનના ભાગીદાર સવજી ગોવિંદ પટેલને વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. સરકારી દફતરે 7/12 માં નામ દાખલ નહીં કર્યા હોવાની બાબતનો ગેરલાભ લઇ પ્લોટના માલિક સુરેશચંદ્ર જરીવાલાએ બંને પ્લોટ વેચાણ કરી દઇ વિશ્વાસઘાત કરતા જયેશ જગીવાલાએ ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં સુરેશ વિરૂધ્ધ ઠગાઇની ફરીયાદ નોંધાવી છે.


