વડોદરા શહેરની આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને દૂધ નહીં મળતું હોવાના આક્ષેપ
image : Twitter
Vadodara : વડોદરા શહેરમાં આવેલી સરકારી આંગણવાડીઓમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને છેલ્લા એકાદ સપ્તાહથી પૌષ્ટિક દૂધ(સંજીવની) નહિ મળતું હોવાના આક્ષેપો થયા છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલી આંગણવાડીઓનો વહીવટ મહાનગરપાલિકા દ્વારા થાય છે. આંગણવાડીઓમાં ગરીબ વર્ગના બાળકો મોટાભાગે ભણવા આવે છે. સરકારની યોજના છે કે ગરીબ અને કુપોષિત બાળકોને પૌષ્ટિક અને વિટામિનવાળું દૂધ આપવામાં આવે. પરંતુ અગાઉ આ બાબતે આંગણવાડીના બાળકોને દૂધ નહીં મળતું હોવાની હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારબાદ આ બાબતે પાલિકા તંત્ર દ્વારા ઘટતું કરવામાં આવ્યું હતું. જ્યાં પણ આંગણવાડીમાં પૌષ્ટિક દૂધ-સંજીવની પહોંચતું ન હતું ત્યાં પુનઃ શરૂ કરી દેવાયું હતું.
પરંતુ ત્યારબાદ છેલ્લા છ સાત દિવસથી આંગણવાડીના નાના ભૂલકાઓને ફ્લેવરવાળું પૌષ્ટિક દૂધ મળતું નહીં હોવાના આક્ષેપો થયા છે ત્યારે સરકાર દ્વારા આંગણવાડીમાં કુપોષિત બાળકોને પૌષ્ટિક અને ફ્લેવરવાળુ દૂધ મળી રહે તે અંગે દ્વારા બરોડા ડેરી સાથે વહીવટ થાય છે. કેટલીય આંગણવાડીઓમાં બરોડા ડેરીના આ પૌષ્ટિક દૂધના પાઉચ મોકલવામાં આવે છે. જ્યાં એક જ પાઉચમાંથી કેટલીક આંગણવાડીઓમાં બે ભાગ કરવામાં આવે છે જ્યારે કેટલીક આંગણવાડીઓમાં એક જ પાઉચમાંથી ત્રણ ભાગ કરવામાં આવતી હોવાના આક્ષેપ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરાયા છે.
આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓને વિટામીન અને ફ્લેવરવાળા દૂધ સહિત નાસ્તો આપવાની સરકારની યોજના છે છતાં પણ બરોડા ડેરી દ્વારા છેલ્લા છ આઠ દિવસથી આંગણવાડીઓમાં પૌષ્ટિક ફ્લેવર્ડ વાળું દૂધ નહીં પહોંચતું હોવાનો પણ સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે. પાલિકા તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ થાય એ અત્યંત જરૂરી છે.